કિશોરી ઉત્કર્ષ માટેની અનોખી પહેલ : હું પણ બનીશ આદર્શ કિશોરી
ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી કિશોરી ઉત્કર્ષ પહેલની બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયાના ગુડવર્ક સેકશનમાં સુશાશન અંતર્ગત સારી પહેલ ગણાવી છે.
ભરૂચ જિલ્લાની તમામ કિશોરીઓની ગુણાત્મક તાલીમ થકી આદર્શ કિશોરી બનાવવાની અનોખી સી એસ આર પહેલ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 24 જાન્યુઆરી, 2023માં શરૂ કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની આ પહેલના શરૂ કરાયાના માત્ર 4 જ મહિનામાં 4100થી વધારે કિશોરીઓને લાભાંવિત કરીને ઉત્કર્ષ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કિશોરી ઉત્કર્ષ પહેલનો ઉદ્દેશ્ય
સમાજની કિશોરીઓમાં દેશના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં યોગદાન આપવાની અપાર ક્ષમતા હોય છે. પરંતુ તેઓના જીવનને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર માહિતીના અભાવ અને મર્યાદિત અવકાશને કારણે ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં કિશોરીઓ અનેક સામાજિક અને આરોગ્યલક્ષી પડકારોનો સામનો કરે છે, ત્યારે કિશોરીઓને ગુણાત્મક તાલીમ થકી તેઓની ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરાવીને વિવિધ વિષયો પર સ્વ-જાગૃતતા મેળવે તથા રોજિંદા જીવનમાં થતી કોઈપણ અનૈચ્છિક સમસ્યાઓનો સ્વયંભૂ સામનો કરવા માટે તૈયાર થાય એ અત્યંત જરૂરી છે.
હાલમાં,જિલ્લા સ્થિત તમામ અભિલાષી કિશોરીઓ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, ઉત્તમ પોષણ, કૌશલ્ય વિકાસ, ચોક્કસ અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ અંગે ગુણાત્મક તાલીમ થકી સ્વ-જાગૃતતા મેળવે અને મહત્તમ કિશોરીઓ આદર્શ કિશોરીનું બિરુદ મેળવે એવા હેતુસર જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્રારા સૂચિત "કિશોરી ઉત્કર્ષ પહેલ"ની પહેલને અમલમાં મૂકી છે.
કેવી રીતે આદર્શ કિશોરીમાં પસંદગી કરવામાં આવે છે?
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કિશોરી ઉત્કર્ષ સીએસઆર પહેલ અંતર્ગત ઝઘડિયા તાલુકામાં બેઝ લાઇન સર્વે હાથે ધરી અને કુલ 95 શિક્ષકોને ગુણાત્મક તાલીમ આપી માસ્ટર ટ્રેનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ માસ્ટર ટ્રેનરોએ ઝઘડિયા તાલુકામાં કિશોરીઓની ડોર ટુ ડોર સર્વે કરી તેમની નોંધણી કરીને વિવિધ મોડ્યુલ્સ પર ગુણાત્મક તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ સમયગાળા દરમિયાન ઉત્તમ પોષણ, યોગ્ય આરોગ્ય અને સ્વચ્છતા,વોટનો અધિકાર, સરકારી યોજનાઓની માહિતી, બાળ સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓની માહિતી વગેરે પર બાહ્ય તજ્જ્ઞ (ખાસ કરીને આરોગ્ય શાખા, ઇલેકશન શાખા, સમાજ સુરક્ષા વિભાગ, યુનિસેફ, સ્ત્રી ચિકિત્સક) વગેરેને આમંત્રિત કરીને તાલીમાર્થી કિશોરીઓમાં વિવિધ આયોમોને આવરી લઈને તાલીમ આપવામાં આવી હતી.
કુલ 04 મહિનાના તાલીમ સમયગાળા બાદ તમામ કિશોરીઓનું માઇક્રો અને મેક્રોએસેસમેન્ટ થકી ઝઘડિયા તાલુકાનાં પ્રત્યેક ગામદીઠ 01 ગ્રામ જાગૃત કિશોરીની પસંદગી કરવામાં આવી છે.
જેમાંથી 122 ગ્રામ જાગૃત કિશોરીઓ આદર્શ કિશોરીનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેઓ આગામી સમયમાં સમાજ રહેતી અન્ય કિશોરીઓ માટે આદર્શ બનીને પોતાનું ભાવી ઉજ્જવળ બનાવે તે માટે સમાજમાં સંદેશાવાહકની ઉત્ક્રૃષ્ટ ઉદાહરણ પૂરુ પાડે છે.
કિશોરી ઉત્કર્ષ પહેલ અંતર્ગત ગ્રામ જાગૃત કિશોરીનું બિરુદ પ્રાપ્ત કરેલ કિશોરીઓને તબક્કાવાર ભરૂચની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત માટે આમંત્રિત કરાઈને તેમણે તલસ્પર્શી માળખાકિય જાણકારી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમાજને કોઈને કોઈ રીતે મદદરૂપ થવાના અભિગમ સાથે જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા પ્રયત્નશીલ રહેતા હોય છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સામાજિક સુરક્ષાની ચાર યોજનાઓમાં 100 ટકા સંતૃપ્તિકરણ માટે ઉત્કર્ષ યોજના પ્રશંસા કરવામાં આવી હતી. કિશોરી ઉત્કર્ષ પણ તે પૈકીનું જ એક સોપાન છે.
આ અભિનવ પહેલ સીએસઆર હેઠળ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ડીસીએમ શ્રીરામ ફાઉડેશનનો સહયોગ પ્રાપ્ત થયો છે. ભારત કેર અને યુનિસેફ તેમાં નોલેજ પાર્ટનર તરીકે સાથે જોડાયા છે. આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ, આઈસીડીએસ સેલ, સમન્વય સાધીને આ પહેલનું સુચારુ અમલીકરણ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
