આધારનું ભવિષ્ય દાવ પર, કેન્દ્ર કરશે રાજ્ય સરકારો સાથે વાત
એક અંગ્રેજી સમાચાર પત્રના અનુસાર કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ આ યોજનાને ખતમ કરવાનો વિચાર કરી રહી છે. કેન્દ્રના સૂચના અને ટેક્નોલોજી વિભાગે આ બાબત રાજ્યના સચિવો સાથે વાત કરવાનો આદેશ કર્યો છે. કેન્દ્રના આદેશ બાદ સૂચના વિભાગ આ વિશે રાજ્ય સચિવોની સાથે બેસીને બેઠક કરવા જઇ રહ્યાં છે. ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે આધાર કાર્ડના ભવિષ્ય પર નિર્ણય લેવામાં આવશે.
વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત અઠવાડિયે જ આધાર નંબર જાહેર કરનાર સંસ્થા યૂનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા પર બનેલી કેબિનેટ કમિટીને ભંગ કરી દિધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યૂપીએ સરકારે યૂઆઇડીએઆઇ એટલે કે આધાર યોજના શરૂ કરી હતી. આ સ્કીમ હેઠળ ભારતના નાગરિકોને 12 આંકડાનો એક વિશિષ્ટ ઓળખ નંબર આપવામાં આવશે.
તમને જણાવી દઇએ કે ભાજપ આ યોજનાનો શરૂથી જ વિરોધ કરતી આવી છે. હવે જ્યારે ભાજપની સરકાર છે તો માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ આ યોજના બંધ કરવામાં આવી શકે છે. યૂઆઇડીએઆઇના રેકોર્ડ અનુસાર અત્યાર સુધી 63 કરોડ લોકોને આધાર કાર્ડ આપવામાં આવી ચૂક્યા છે.