'આપ'ના ફંડીંગની તપાસ થશે: શિંદે, ભાજપ-કોંગ્રેસના પણ ફંડીંગની તપાસ થવી જોઇએ: આપ
નવી દિલ્હી, 12 નવેમ્બર: આમ આદમી પાર્ટીને વિદેશથી મળી રહેલા નાણાને લઇને રાજનૈતિક ઘમાસાણ ચાલુ થઇ ગઇ છે. ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું છે કે તેમની પાસે આપને મળી રહેલા નાણાને લઇને ફરિયાદો આવી છે, તેની તપાસ કરાવવામાં આવશે. શિંદેના નિવેદન અનુસાર પ્રતિક્રિયા આપતા આપએ જણાવ્યું કે કોંગ્રેસ અને ભાજપને પણ મળી રહેલા નાણાની પણ તપાસ થવી જોઇએ. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અમે કોઇપણ સ્તર પર તપાસ કરાવવા માટે તૈયાર છીએ. પરંતુ અમારી સાથે કોંગ્રેસ અને ભાજપને પણ ફંડીંગની માહિતી આપવી પડશે.
આ પહેલા દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આપની ફંડિંગને લઇેન સવાલ ઉઠાવ્યા હતા. શીલાએ તેમની ઉપર લગાવવામાં આવેલા આરોપોને નિરાધાર ગણાવતા જણાવ્યું કે માત્ર કોઇની પર આંગળી ઉઠાવતા તે ભ્રષ્ટ નથી થઇ જતુ. દરેક જણ કાંચના મકાનમાં રહી રહ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યા કે આપને ક્યાંથી ફંડીંગ મળી રહ્યું છે. તેમણે આપની ટિકા કરતા જણાવ્યું કે ચૂંટણી રાજનૈતિક દળોની નીતિઓ અને કાર્યક્રમોના વિસ્તૃત મુદ્દાઓ પર લડાવી જોઇએ અને એ ખાનગી આરોપો અને જવાબી આરોપોના આધાર પર નહી લડાવી જોઇએ.
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે તેને 8 નવેમ્બર સુધી કુલ મળીને 18.92 કરોડનું નાણું મળી ચૂક્યું છે, જેમાંથી પાંચ કરોડ વિદેશી ફંડના રૂપમાં મળ્યું છે. પાર્ટી અનુસાર, પ્રવાસી ભારતીયો સહિત કુલ 63,000 લોકોએ પાર્ટીને ફંડ આપ્યું છે. આપની ફંડિંગ અંગે પાર્ટીના નેતાઓનું કહેવું છે કે નાણાની તમામ જાણકારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. પાર્ટીનું કહેવું છે કે તેમને વિદેશથી મળેલા નાણાનને વિદેશી ફંડ ના કહી શકાય કારણ કે તેઓ એવા લોકો પાસેથી જ ફંડ લઇ રહ્યા છે જેમની પાસે ભારતીય પાસપોર્ટ છે.
શિંદે પર પલટવાર કરતા કુમાર વિશ્વાસે જણાવ્યું કે ગૃહમંત્રી પોતાના પદ અનુસાર કામ નથી કરી રહ્યા. તેમણે જણાવ્યું કે ગૃહમંત્રીનું આ કામ નથી કે મીડિયામાં આવીને ઉત્તેજનાત્મક આરોપ લગાવે. તેઓ તાત્કાલિક એફઆઇઆર નોંધાવીને તપાસ કરાવે. કુમાર વિશ્વાસે જણાવ્યું કે અમે અમારી પાર્ટીના ફંડીંગની તપાસ માટે તૈયાર છીએ, પરંતુ કોંગ્રેસ અને ભાજપના ફંડીંગની પણ તપાસ થવી જોઇએ.