આમ આદમી પાર્ટીએ પંજાબમાં કરેલા વાયદા 7 મહિનામાં પુરા કરી દેખાડ્યા-રાઘવ ચઢ્ઢા
આમ આદમી પાર્ટી ગુજરાતમાં માહોલ બનાવવાની કોશિશ કરી રહી છે. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ દિલ્હી અને પંજાબમાં કરેલા કામને આગળ કરીને ગુજરાતમાં મોટા વાયદાઓ કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં માહોલ બનાવવાની કોશિશ કરી રહી છે. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ દિલ્હી અને પંજાબમાં કરેલા કામને આગળ કરીને ગુજરાતમાં મોટા વાયદાઓ કરી રહ્યા છે. હવે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ પંજાબમાં વાયદા પુરા કર્યા હોવાનું જણાવ્યુ હતું.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, આગામી સરકાર AAP દ્વારા બનાવાશે. તેમણે કહ્યું કે, પંજાબ સરકારે જૂની પેન્શન સ્કીમ પુનઃસ્થાપિત કરવા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. હવે પંજાબના તમામ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાનો લાભ લઈ શકશે. ચૂંટણીનો માહોલ છે તો અન્ય પક્ષો પણ આ વચનો આપી રહ્યા છે. હું ગુજરાતના મતદારોને ચેતવવા માંગુ છું કે અન્ય કોઈ પણ પક્ષ તમને જૂની પેન્શન યોજના લાગુ કરશે તેવું વચન આપે તો તમારે તેમને પૂછવું જોઈએ કે અન્ય રાજ્યોમાં પણ તેમની સરકાર છે. શું તેઓએ ત્યાં આ યોજનાનો અમલ કર્યો છે? તમે કોંગ્રેસને પૂછો કે જો તમે સરકારી કર્મચારીઓના આટલા જ શુભચિંતક છો તો તમે તમારા બાકીના રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરી?
રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું કે, ભાજપે લોકોના માથે નવી પેન્શન યોજના લાદી હતી. અત્યાર સુધી ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર છે અને છેલ્લા 8 વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે પરંતુ તેમ છતાં તેઓએ જૂની પેન્શન યોજના લાગુ કરી નથી. ગુજરાતમાં આ વખતે અરવિંદ કેજરીવાલની ગેરેન્ટી કામ કરશે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ.
રાઘવ ચઢ્ઢાએ અહીં ફ્રી વિજળી મુદ્દે પણ વાત કરી અને કહ્યું કે, અમે પંજાબ અને દિલ્હીમાં લોકોને મફત વીજળી આપી છે. લાખો લોકોના ઘરોમાં વીજળીનું બિલ શૂન્ય આવે છે. તેના આધારે અમે ગુજરાતમાં કહ્યું કે મફત વીજળી આપીશું. અમે દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક સ્થાપ્યા, બાળકોને વિશ્વસ્તરીય શિક્ષણ વિનામૂલ્યે આપ્યું. તેના આધારે અમે ગુજરાતમાં કહીએ છીએ કે અમે ગુજરાતમાં એ જ કામ કરીશું જે દિલ્હીમાં કર્યું છે.
અહીં રાઘવ ચઢ્ઢાએ મોરબી પૂલ ઘટનાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું કે, ભાજપ ગુજરાતમાં 27 વર્ષથી ઘમંડી અને ભ્રષ્ટ સરકાર ચલાવી રહી છે. મોરબીની ઘટનાએ આ હકીકતનો પર્દાફાશ કર્યો છે. ઉપરથી નીચે સુધી ભાજપ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો હોવાનું સ્પષ્ટ થયું છે. જો આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં આવશે તો તેની પણ તપાસ કરશે અને દોષિતોને જેલમાં મોકલશે.
અહીં રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલને મનોજ તિવારી દ્વારા આપવામાં આવેલી ઘમકીને મુદ્દો બનાવ્યો હતો. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, ભાજપના લોકસભા સાંસદ મનોજ તિવારીએ પોતાના નિવેદન દ્વારા અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી છે. અરવિંદ કેજરીવાલજીની આંખો કાઢવા અને પગ તોડવાની ગંદી વાત કરી છે. લોકોની લાગણી ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોકોને હિંસા માટે ખુલ્લો કોલ આપવામાં આવ્યો છે. ભાજપની આ હાલત છે. આજે બીજેપી અરવિંદ કેજરીવાલથી ડરી ગઈ છે, તેના કારણે તેઓ અરવિંદ કેજરીવાલને મારવાની વાત કરી રહ્યા છે. આ બાબતોથી ભાજપની સંસ્કૃતિ અને ભાજપના નેતાઓની માનસિકતા લોકો સામે ખુલ્લી પડી ગઈ છે.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, હું દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અપીલ કરવા માંગુ છું કે જે રીતે બીજેપી સાંસદો અરવિંદ કેજરીવાલજીને મારવાની અને ટોળાને ઉશ્કેરવાની અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે, તેના આ નિવેદનો પર ધ્યાન આપીને અરવિંદ કેજરીવાલની સુરક્ષા વધારવામાં આવે. અને જો તેની સુરક્ષામાં કોઈ ક્ષતિ હોય તો તેના માટે મનોજ તિવારી અને ભાજપ જવાબદાર છે તેવું માનવું જોઈએ. આજે દેશના કાયદા ઘડનારાઓ આવા નિવેદનો આપે, મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપે તો આ દેશની કાયદો અને વ્યવસ્થાનું શું થશે?
કેજરીવાલને મારવાની ધમકીને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રમક જોવા મળી રહ્યા છે ત્યારે રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, બીજેપી નેતાનું આ નિવેદન ગુજરાત વિધાનસભા ચૂંટણી અને દિલ્હીની MCD ચૂંટણીમાં ભાજપની દુર્દશા દર્શાવે છે. આ બધું બતાવે છે કે ભાજપ કેટલી ગભરાયેલી અને નર્વસ છે. અરવિંદ કેજરીવાલજીએ રાજનીતિની ચૂંટણીની લડાઈમાં ભાજપને હરાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપ હાર જોઈ રહી છે અને આ ડરને કારણે આવા વાહિયાત નિવેદનો આપી રહ્યા છે. અમે આવા નિવેદનોનું ખંડન કરીએ છીએ અને કેન્દ્ર સરકારને અરવિંદ કેજરીવાલ જીની સુરક્ષા વધારવાની અપીલ કરીએ છીએ.