આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણીની તૈયારી શરૂ કરી, પરિવર્તન યાત્રાનો પ્રારંભ!
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હજુ જાહેર થઈ નથી, પરંતુ રાજકીય પક્ષો કોઈ કસર છોડી રહ્યા નથી અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પ્રચાર શરૂ કરી દીધો છે. કાર્યકર્તા સંમેલનના બહાને મીટીંગો પણ શરૂ થઈ ગઈ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હજુ જાહેર થઈ નથી, પરંતુ રાજકીય પક્ષો કોઈ કસર છોડી રહ્યા નથી અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પ્રચાર શરૂ કરી દીધો છે. કાર્યકર્તા સંમેલનના બહાને મીટીંગો પણ શરૂ થઈ ગઈ છે. આરોપ-પ્રત્યારોપનો દોર પણ શરૂ થયો છે.
આ ક્રમમાં ગુજરાતમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણીમાં પુરી તાકાત સાથે ઉતરેલી આમ આદમી પાર્ટીએ રવિવારથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. સમગ્ર રાજ્યમાં લોકો સુધી પહોંચવા માટે AAP દ્વારા તમામ 182 બેઠકો પર પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં અલગ-અલગ છ સ્થળોએથી શરૂ થયેલી પાર્ટીની આ પરિવર્તન યાત્રાનો હેતુ રાજ્યના છેવાડાના નાગરિકો સુધી પહોંચવાનો અને દરેક નાગરિકના પ્રશ્નોને વાચા આપવાનો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી શરૂ થયેલી પરિવર્તન યાત્રાને વિવિધ આગેવાનોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
સોમનાથથી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સવારે યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બીજી તરફ AAP નેતા ઈસુદાન ગઢવીએ દ્વારકાથી યાત્રાની શરૂઆત કરી હતી. સિદ્ધપુરથી AAPના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ઉમરગાંવથી AAPના રાજ્ય ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા અને આપની સાથી પાર્ટી બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશ વસાવાએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
AAP કિસાન સંગઠનના પ્રમુખ રાજુ કરપડાએ અબડાસાથી યાત્રાની શરૂઆત કરી છે. દાંડીથી AAPના રાજ્ય સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પક્ષના નેતાઓનું કહેવું છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા સાચા અર્થમાં સુશાસન સ્થાપિત કરવા અને રાજ્યના યુવાનોને રોજગારીની સારી તકો પૂરી પાડવા માટે આમ આદમી પાર્ટી આના દ્વારા લોકોને સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે.