પંજાબમાં ભ્રષ્ટાચારીઓ સામે સતત એક્શન લઈ રહી છે માન સરકાર, ભાજપમાં સામેલ થયેલા કોંગ્રેસી પણ ઘેરાયા
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ભગવંત માનને જ્યારે મુખ્યમંત્રી પદ મળ્યુ તો તેમણે આવતાની સાથે જ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધુ.
જલંધરઃ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ભગવંત માનને જ્યારે મુખ્યમંત્રી પદ મળ્યુ તો તેમણે આવતાની સાથે જ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધુ. પહેલા તેમણે ભ્રષ્ટાચારને લઈને હેલ્પલાઈન બનાવી અને પછી કોંગ્રેસના પૂર્વ મંત્રીઓના કેસો ખોલવાનુ શરૂ કર્યુ. મુખ્યમંત્રી ભગવંત માને જ્યારે ભ્રષ્ટાચારના કેસમાં કોંગ્રેસના પૂર્વ મંત્રી ડૉ.સાધુ સિંહ ધર્મસોત સામે કાર્યવાહી કરી ત્યારે કોંગ્રેસના પૂર્વ મંત્રીઓ અને નેતાઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
કોંગ્રેસના પૂર્વ મંત્રીઓને ખ્યાલ આવ્યો કે જો તેઓ કોંગ્રેસમાં જ રહેશે તો તેમની સામે ભગવંત માન દ્વારા વીજીલન્સ કાર્યવાહી કરવામાં આવશે. તેનાથી ગભરાઈને કોંગ્રેસના પૂર્વ મંત્રીઓએ ભાજપમાં શરણ લેવાનુ શરૂ કરી દીધુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પણ પોતાની પાર્ટી ભાજપમાં ફેરવી લીધી. ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ મંત્રીઓને આશા હતી કે મુખ્યમંત્રી ભગવંત માન તેમના પર હાથ નહિ મૂકે પરંતુ કોંગ્રેસના પૂર્વ મંત્રીઓની આ ધારણા પણ ખોટી સાબિત થઈ.
અત્યાર સુધી ભારત ભૂષણ આશુ સહિત કોંગ્રેસના પૂર્વ મંત્રીઓની ધરપકડ થતી હતી પરંતુ હવે મુખ્યમંત્રી ભગવંત માને ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ મંત્રીઓની ધરપકડ કરવાનુ શરૂ કરી દીધુ છે. જેના કારણે ભાજપના અન્ય ઘણા પૂર્વ કોંગ્રેસી મંત્રીઓ પણ ડરી ગયા છે. મુખ્યમંત્રી ભગવંત માને કડક વલણ અપનાવ્યુ છે કે તેઓ કોઈપણ ભ્રષ્ટાચારી પર દયા નહીં રાખે. ભગવંત માન દ્વારા આગામી દિવસોમાં પૂર્વ અકાલી મંત્રીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે અને પૂર્વ અકાલી સરકાર દરમિયાન થયેલા કૌભાંડો પણ ખુલી શકે છે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે. હવે આગામી દિવસોમાં કેન્દ્રની ભાજપ સરકાર સાથે ભગવંત માન સરકારનો ટકરાવ પણ વધી શકે છે.