આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ પ્રયાણ, ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણી મહત્વની
જો અનુમાન મુજબ આપને ગુજરાતમાં વોટ મળશે તો આ પાર્ટી રાષ્ટ્રીય સ્તરની દેશની પાર્ટીઓની યાદીમાં સામેલ થશે.
નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટી(AAP)એ દિલ્લી પછી ઘણા રાજ્યોમાં પોતાના સંગઠનોને મજબૂત કર્યા છે. પંજાબમાં કોંગ્રેસ અને ભાજપને હરાવ્યા બાદ અરવિંદ કેજરીવાલની પાર્ટી ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં અન્ય રાજકીય પક્ષોની પરંપરાગત વોટ બેંક માટે જોખમરુપ બની ગઈ છે. જે તાકાતથી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પહેલીવાર પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો તેના કારણે ભાજપ પણ મોટા સંકટમાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી માટે ઘણી રીતે મહત્વની છે. ગત દિવસે પંજાબની સત્તા કબજે કર્યા બાદ હવે પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવાની નજીક પહોંચી ગઈ છે. જો અનુમાન મુજબ આપને ગુજરાતમાં વોટ મળશે તો આ પાર્ટી રાષ્ટ્રીય સ્તરની દેશની પાર્ટીઓની યાદીમાં સામેલ થશે.
3 રાજ્યોમાં આપ રાજ્યની પાર્ટી તરીકે ઓળખાય છે
ભારતના ચૂંટણી પંચના નિયમો મુજબ જો કોઈ રાજકીય પક્ષને ચાર રાજ્યોમાં 'રાજ્ય પક્ષ'નો દરજ્જો મળે તો તે આપોઆપ રાષ્ટ્રીય પક્ષ બની જાય છે. દિલ્લી, પંજાબ અને ગોવામાં આમ આદમી પાર્ટી રાજ્યની પાર્ટી તરીકે ઓળખાય છે. આવી સ્થિતિમાં જો તેને ગુજરાતમાં છ ટકા મત અને બે બેઠકો મળે તો તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળશે. કદાચ આને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે તેમની પાર્ટી ટૂંક સમયમાં રાષ્ટ્રીય પાર્ટી બની જશે. કેજરીવાલે કહ્યુ કે 10 વર્ષ પહેલા આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ હતી. તે સમયે અરવિંદ કેજરીવાલ, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને આનંદ કુમારે પાર્ટીની સ્થાપના કરી હતી.
26 નવેમ્બરના રોજ થઈ હતી આમ આદમી પાર્ટીની સ્થાપના
આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસ માટે 26 નવેમ્બરનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. ભારતનુ બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું હતું. પાર્ટીની સ્થાપનાને 10 વર્ષ થઈ ગયા છે. આ દસ વર્ષમાં પાર્ટીએ ઘણી ઉંચાઈઓને સ્પર્શી છે. આપની સરકાર દિલ્લીમાં બે વખત અને પંજાબમાં પ્રથમ વખત બની હતી. રાજ્યસભામાં આમ આદમી પાર્ટીની સ્થિતિ પણ છેલ્લી ચૂંટણીની સરખામણીમાં મજબૂત થઈ છે. પાર્ટી પાસે હાલમાં 10 રાજ્યસભા સાંસદ છે.
ઈતિહાસ રચવાનો અરવિંદ કેજરીવાલનો દાવો
ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શનની સરખામણી કરીએ તો હવે આપ સામે રાષ્ટ્રીય પક્ષ બનવાનો કોઈ મુશ્કેલ પડકાર નથી. તાજેતરમાં, દિલ્લીના મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, અરવિંદ કેજરીવાલે પણ દાવો કર્યો હતો કે 26 નવેમ્બર, 2012ના રોજ અસ્તિત્વમાં આવ્યા પછી ભારતીય રાજકારણમાં ઘણા ઇતિહાસ રચાયા છે. તેમણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જીતનો દાવો પણ કર્યો હતો. જો કે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. પરંતુ જો આ પાર્ટી ગુજરાતમાં અંદાજ મુજબ વોટ ટકાવારી મેળવવામાં સફળ થાય તો તે રાષ્ટ્રીય પાર્ટી બનવાનો દાવો કરી શકે છે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશ ચૂંટણી મહત્વની
દેશમાં અત્યાર સુધી માત્ર કોંગ્રેસ, ભાજપ, બસપા, સીપીઆઈ, સીપીએમ, એનસીપી અને ટીએમસીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે. પરંતુ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આ યાદીમાં આમ આદમી પાર્ટીનુ નામ જોડાય તેવી પૂરી સંભાવના છે. રાજ્યોના ચૂંટણી પરિણામો પછી, 'આપ' ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ રાષ્ટ્રીય પક્ષ તરીકેની પાત્રતાને પૂર્ણ કરશે. એવી સંભાવના છે કે આ વર્ષે એટલે કે 2022માં જ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવાનો દાવો કરશે અને તેને માન્યતા પણ મળશે.
રાષ્ટ્રીય પક્ષ બનવાના ફાયદા
- કોઈપણ રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા મળવાથી દેશમાં રાજકીય પક્ષનો દરજ્જો વધે છે.
- રાષ્ટ્રીય પક્ષની રચના પછી, રાજકીય પક્ષને અખિલ ભારતીય સ્તરે અનામત ચૂંટણી ચિન્હ મળે છે.
- પક્ષને મફતમાં અને ફરજિયાતપણે મતદાર યાદી મેળવવાની સુવિધા મળે છે.
- રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના ટેલિવિઝન અને રેડિયો પ્રસારણને રાષ્ટ્રીય સ્તરના મીડિયા પર ફ્રી એરટાઇમની મંજૂરી છે.