INDIA ગઠબંધનમાંથી બહાર થયા બાદ આમ આદમી પાર્ટીએ શું કહ્યું?
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે INDIA ગઠબંધનને લઈ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે આ ગઠબંધન બાળકોના રમકડાં જેવું નથી, પરંતુ હાલની સ્થિતિને જોતા એવું લાગે છે કે એકતા જ અસ્તિત્વમાં નથી.
સંજય સિંહે પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે લોકસભા ચૂંટણી પછી INDIA ગઠબંધનની એકપણ બેઠક બોલાવાઈ નથી. તો પછી પ્રશ્ન એ છે કે તેને આગળ વધારવા કોણે પહેલ કરી છે? ઘણી વખત સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે કે મમતા બેનર્જી વિરુદ્ધ ટિપ્પણીઓ થાય છે તો એકતા ક્યાં રહી?

તેમણે વધુમાં કહ્યું કે INDIA ગઠબંધનનો સૌથી મોટો સાથી કોંગ્રેસ છે, પરંતુ શું કોંગ્રેસે લીડરશિપની જવાબદારી નિભાવી છે? તે મોટો પ્રશ્ન છે. સંજય સિંહે કહ્યું કે કોંગ્રેસ હવે ગઠબંધનને લીડ કરવાની સ્થિતિમાં નથી, જે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે આમ આદમી પાર્ટી હવે INDIA ગઠબંધનનો ભાગ નથી. લોકસભા ચૂંટણી માટે અમે સાથે હતા, પરંતુ ત્યારબાદ હરિયાણા, દિલ્હીમાં અમે એકલા લડ્યાં. હવે બિહાર, ગુજરાત, પંજાબના ચૂંટણીઓ પણ અમે એકલાં લડીશુ. એટલે આપ હવે ગઠબંધનમાં નથી.
સંજય સિંહે કહ્યું કે તેમ છતાં આપ સંસદમાં જનહિતના મુદ્દાઓ મજબૂતીથી ઉઠાવતી રહેશે. અમે હંમેશા સશક્ત વિપક્ષની ભૂમિકા ભજવી છે અને ભવિષ્યમાં પણ ભજવશું.
ઉલ્લેખનીય છે કે સંસદનું માનસૂન સત્ર 21 જુલાઈથી શરૂ થવાનું છે અને તે પહેલાં 19 જુલાઈએ INDIA ગઠબંધનની બેઠક બોલાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
