આરુષિ હત્યા કેસ: આરોપી માતા-પિતા દોષમુક્ત જાહેર
આરુષિ હેમરાજ મર્ડર કેસમાં અલાહાબાદ હાઇકોર્ટ ગુરૂવારે આપ્યો હતો ચૂકાદો
ઉત્તર પ્રદેશ સ્થિત ગૌતમ બુદ્ધ નગર(નોયડા)ના બહુચર્ચિત આરુષિ-હેમરાજ મર્ડર કેસમાં 12 ઓક્ટોબર, ગુરૂવારના રોજ અલ્હાબાદ હાઇકોર્ટ પોતાનો ચૂકાદો આપ્યો હતો. કોર્ટે તલવાર દંપતિની અરજી માન્ય રાખતા તેમને દોષમુક્ત જાહેર કર્યા હતા. નોંધનીય છે કે, ગત મહિને 7 સપ્ટેમ્બરના રોજ દલીલ પૂર્ણ થયા બાદ હાઇકોર્ટે ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ કેસની સુનવણી જાન્યુઆરી માસમાં જ પૂર્ણ થઇ ગઇ હતી, પરંતુ તલવાર દંપતિ તરફથી ફરી અરજી દાખલ કરવામાં આવતા હાઇકોર્ટ દ્વારા બીજી વાર સુનવણી હાથ ધરાતાં કેટલાક મુદ્દાઓ પર સીબીઆઇ પાસે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું હતું. એ સ્પષ્ટીકરણને આધારે જ ફરી સુનવણી થઇ હતી અને કોર્ટ દ્વારા પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.
નોયડામાં વર્ષ 2008માં 14 વર્ષીય આરુષિ અને તેના ઘરના નોકર હેમરાજની હત્યા થઇ હતી. આ મામલાની તાપસ સીબીઆઇ પાસે જતાં એક સનસનીપૂર્ણ ખુલાસો થયો હતો, જેમાં આરુષિના પિતા ડૉ.રાજેશ અને માતા નુપુર જ આરોપી બન્યા હતા. ગાઝિયાબાદની સીબીઆઇ અદાલતમાં આ કેસની સુનવણીમાં આરુષિ અને હેમરાજની હત્યા માટે તલવાર દંપતિને જ દોષી ઠેરવવામાં આવ્યા હતા. જસ્ટિસ શ્યામ લાલની અદાલતે નવેમ્બર, 2013માં ડૉ.રાજેશ તલવાર અે ડૉ.નુપુર તલવારને ઉંમરકેદની સજા સંભળાવી હતી. ચૂકાદો આવ્યા બાદ તલવાર દંપતિને ગાઝિયાબાદની ડાસના જિલ્લા જેલમાં લઇ જવામાં આવ્યા હતા.
આ મામલે પુરાવા નષ્ટ કરવા માટે તલવાર દંપતિને પાંચ વર્ષની અતિરિક્ત સજા અને ખોટી સૂચના આપવા માટે રાજેશ તલવારને એક વર્ષની અતિરિક્ત સજા સંભળાવવામાં આવી હતી. આ જ મામલે સજા વિરુદ્ધ તલવાર દંપતિએ અલ્હાબાદ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેની સુનવણી ન્યાયમૂર્તિ બીકે નારાયણ અને ન્યાયમૂર્તિ એકે મિશ્રની બેંચે કરી હતી. મહિનાઓ સુધી ચાલેલી દલીલો બાદ હાઇકોર્ટે ગત જાન્યુઆરીમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ મામવાનો ચૂકાદો આવે એ પહેલાં જ તલવાર દંપતિ તરફથી સીબીઆઇના પુરાવાઓ અંગે વધુ એક અરજી દાખલ કરવામાં આવી હતી.