આરુષિ કેસ: 'ટ્રાયલ કોર્ટના જજ ફિલ્મ ડાયરેક્ટરની જેમ વર્ત્યા'
આરુષિ હત્યાકાંડ: અલ્હાબાદ હાઇકોર્ટે સીબીઆઈ વિશેષ ટ્રાયલ કોર્ટના જજો અંગે ટિપ્પણી કરતાં કહ્યું કે, તેમણે ફિલ્મના ડાયરેક્ટરની માફક કામ કર્યું.
દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી કહેવાયેલ આરુષિ-હેમરાજ હત્યા કેસમાં ગુરૂવારે મોટો ચૂકાદો આપતાં અલ્હાબાદ હાઇકોર્ટે મુખ્ય આરોપીએ ડૉ. રાજેશ અને ડૉ. નુપૂર તલવારેને દોષમુક્ત જાહેર કર્યા હતા. ગાઝિયાબાદની સીબીઆઇ કોર્ટે તલવાર દંપતિને આ કેસમાં ઉંમરકેદની સજા સંભળાવી હતી, તેમણે આ નિર્ણયને પડકારતાં અલ્હાબાદ હાઇકોર્ટમાં સીબીઆઇના પુરાવાને મામલે અરજી કરી હતી, આ અરજી પર સુનવણી કર્યા બાદ હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સીબીઆઇની તપાસમાં અનેક ખામીઓ છે તથા તલવાર દંપતિને દોષી સાબિત કરતા પુરાવાઓનો અભાવ હોવાથી તેમને દોષમુક્ત જાહેર કરાયા હતા.

ફિલ્મ ડાયરેક્ટરની જેમ વર્ત્યા ટ્રાયલ કોર્ટના જજ
અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા તલવાર દંપતિને ઉંમરકેદની સજા આપવાના નિર્ણય અંગે તીખી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, આ મામલે પુરાવાઓની સરખી તપાસ કરવામાં નથી આવી, સાક્ષ્યો વેરિફાય કરવાનો પ્રયત્ન પણ નથી થયો, માત્ર એક શંકાના આધારે કામ કરવામાં આવ્યું અને તલવાર દંપતિને દોષી માની લેવામાં આવ્યા. હાઇકોર્ટે સીબીઆઇ ટ્રાયલ કોર્ટના જજો પર ટિપ્પણી કરતાં કહ્યું કે, એવું લાગે છે જાણે તેઓ કોઇ ફિલ્મ ડાયરેક્ટરની માફક કામ કરી રહ્યાં હોય.

શંકા પુરાવાનું સ્થાન ન લઇ શકે
અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું કે, દરેક વસ્તુના બે પાસા હોય છે. એક અરજીકર્તાના અપરાધ તરફ આંગળી ચીંધે છે અને બીજું નિર્દોષતા તરફ. અફસોસ કે ટ્રાયલ કોર્ટના જજોએ આ વાત પર ધ્યાન ન આપ્યું, જે ઘણી ચોંકાવનારી વાત છે. શંકા ગમે એટલી ઊંડી હોય, પરંતુ તે પુરાવાઓની જગ્યા ન લઇ શકે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈની પહેલી દલીલ એ હતી કે, આરુષિની હત્યા થઇ ત્યારે ઘર અંદરથી બંધ હતું અને ઘરમાં 4 વ્યક્તિઓ હતા, જેમાંથી 2ની હત્યા થઇ છે. બાહરનું કોઇ વ્યક્તિ ઘરમાં આવી શકે એમ નથી, માટે હત્યાની શંકા તલવાર દંપતિ પર જાય છે.

હેમરાજની હત્યા
અનુમાન કરવું, શંકા કરવી એ તપાસનો એક ભાગ છે, પરંતુ વગર પુરાવાએ તમે અનુમાનોને સાચા ન માની શકો. હેમરાજની હત્યા આરુષિના રૂમમાં જ થઇ હતી અને તેના શબને ચાદરમાં લપેટીને અગાસી પર જવામાં આવ્યું હતું, એ વાત સાબિત કરતો કોઇ પણ પુરાવો શોધવામાં સીબીઆઈ નિષ્ફળ રહી. સીબીઆઈની ટ્રાયલ કોર્ટના જજે આ સંપૂર્ણ મામલાને ગણિતના કોયડાની માફક ઉકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેસમાં નક્કર પુરાવાઓ વિના માત્ર અનુમાનને આધારે નિર્ણય ન સંભળાવી શકાય.

સીબીઆઈનું નિવેદન
ન્યાયમૂર્તિ બી.કે.નારાયણ અને ન્યાયમૂર્તિ એ.કે.મિશ્રની યુગલપીઠે આરુષિ તલવાર અને ઘરના નોકર હેમરાજની હત્યા મામલે ગાઝિયાબાદની વિશેષ સીબીઆઈ અદાલતના નિર્ણય વિરુદ્ધ તલવાર દંપતિની અરજી સ્વીકર કરતા ઉપરોક્ત વાતોને આધારે તેમને દોષમુક્ત જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, પરિસ્થિતિઓ અને રેકોર્ડમાં નોંધાયેલ સાક્ષ્યો અનુસાર તલવાર દંપતિને દોષી ન ઠેરવી શકાય. કોર્ટનો આ નિર્ણય સીબીઆઈ માટે કોઇ આઘાતથી ઓછો નથી, સીબીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે, તેઓ આ નિર્ણયની કોપી વાંચ્યા બાદ જ કોઇ ટિપ્પણી કરશે.












Click it and Unblock the Notifications
