સંભલ કોલ્ડ સ્ટોરેજ ગોડાઉનમાં સર્જાયો અકસ્માત, 8 લોકોના મોત
sambhal cold storage collapse : સંભલ જિલ્લાના ચંદૌસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા AR કોલ્ડ સ્ટોર અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 08 થયો છે. આવા સમયે 11 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. હાલ બચાવ કામગીરી હજૂ પણ ચાલી રહી છે.
સંભલ જિલ્લામાં ગુરૂવારના રોજ કોલ્ડ સ્ટોરેજ દૂર્ઘટનામાં મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. આ સાથે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 11 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહી છે. બચાવાયેલા 11 મજૂરોમાંથી પાંચ મજૂરોની ટીએમયુ મુરાદાબાદમાં સારવાર ચાલી રહી છે, જ્યારે 6 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ ઘટના ગુરુવાર, 16 માર્ચના રોજ સંભલ જિલ્લાના ચંદૌસા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઇસ્લામ નગર રોડ પર સ્થિત એઆર કોલ્ડ સ્ટોરમાં બની હતી. પ્રાપ્ત સમાચાર મુજબ, 16 માર્ચ, ગુરુવારે એઆર કોલ્ડ સ્ટોરમાં બટેકા ભરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ક્ષમતા કરતા વધુ બટાકા લોડ થયા હતા, જેના કારણે રેક ઓવરલોડ થઈને પડી ગઈ હતી. તેની સાથે કોલ્ડ સ્ટોરની 90 ફૂટ લાંબી છત પણ અચાનક તૂટી પડી હતી. છતના કાટમાળ નીચે કામ કરી રહેલા 20 થી 25 જેટલા મજૂરો દટાયા હોવાની આશંકા છે.
આ દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસનની સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્યમાં લાગી ગઈ હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કોલ્ડ સ્ટોરેજની છત તૂટી પડવાની દુર્ઘટનામાં 08 મજૂરોના મોત થયા છે અને 11 લોકોને બચાવી લેવાયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બચાવ કામગીરી કરી રહી છે અને સ્નિફર ડોગ્સની મદદથી ફસાયેલા લોકોને શોધી રહી છે.
ડીઆઈજી મુરાદાબાદ શલભ માથુરે જણાવ્યું કે, કાટમાળ નીચે ફસાયેલા બાકીના મજૂરોને બચાવવા માટે ટીમો લાગેલી છે. જે માહિતી સામે આવી છે, તે મુજબ આ ઈમારત નવી બનાવવામાં આવી હતી અને તેમાં પહેલીવાર બટેકાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો. કોલ્ડ સ્ટોરના માલિક પાસેથી વહીવટીતંત્રની જરૂરી પરવાનગી લેવામાં આવી ન હતી. એવું જણાવવામાં આવ્યું છે કે, સ્ટોરમાં ધોરણ કરતાં વધુ જથ્થો ભરાયો હતો, જેના કારણે દબાણને કારણે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. ડીઆઈજીએ જણાવ્યું હતું કે, કોલ્ડ સ્ટોરના માલિક અંકુર અગ્રવાલ અને રોહિત અગ્રવાલ વિરુદ્ધ કલમ 304 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયામાં જે પણ ક્ષતિઓ છે, તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આવા સમયે સંભલના એસપી ચક્રેશ મિશ્રાએ જણાવ્યું કે, અમે પૂછપરછ માટે 4 લોકોની અટકાયત કરી છે. મુખ્ય આરોપીઓ ફરાર છે, જેમની શોધ ચાલી રહી છે. કાટમાળ હટાવ્યા બાદ જ આ ઈમારત ધરાશાયી થવાનું સાચું કારણ કહી શકીશું.












Click it and Unblock the Notifications
