સાવધાન! મુંબઇ, દિલ્હી, કોઇમ્બતુરમાં થઇ શકે આતંકવાદી હુમલા
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી: હૈદરાબાદમાં લોહીયાળ હોળી રમનાર આતંકવાદીઓ હજુ શાંત બેસવાના નથી. આ લોકો ટૂંક સમયમાં જ દેશના અન્ય મોટા શહેરોને નિશાન બનાવી શકે છે. હૈદરાબાદમાં પણ બોમ્બ વિસ્ફોટની આશંકા છે. આ ચેતાવણી કેન્દ્રિય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને આપતાં એલર્ટ રહેવાની ચેતાવણી આપી છે. ગુપ્તચર વિભાગના જણાવ્યા અનુસાર આગામી ટાર્ગેટ દિલ્હી, મુંબઇ અથવા કોઇમ્બતુર બની શકે છે.
કેન્દ્ર સરકારે આ એલર્ટ ગુપ્તચર એજન્સીઓ દ્રારા મળેલી જાણકારી અને ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી સાથે ચાલી રહેલી પુછપરછના આધારે જાહેર કર્યો છે. દિલ્હી પોલીસની ધરપકડમાં રહેલા ઇન્ડિયન મુજાહિદ્દીનના સભ્ય મકબૂલની ફરી એકવાર સધન પુછપરછ કરવામાં આવી હતી, પુછપરછ દરમિયાન હૈદરાબાદના દિલસુખ નગર ઉપરાંત કેટલીક જગ્યાએ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. મકબૂલે જણાવ્યું હતું કે ઇન્ડિયન મુજાહિદ્દીનના કેટલાક સ્લીપર સેલ હૈદરાબાદ સહિત કેટલાક શહેરોમાં સક્રિય છે.
તો બીજી તરફ ગુપ્તચર વિભાગના અનુસાર આતંકવાદીઓના આગામી નિશાના પર મુંબઇ, દિલ્હી, કોઇમ્બતુર હોય શકે છે. આ સુચનાના આધારે કેન્દ્રએ જમ્મૂ-કાશ્મીરથી માંડીને તમિલનાડુ સુધી બધા રાજ્યોને એલર્ટ કરી દિધા છે. કેન્દ્રએ પોતાની સૂચનામાં લખ્યું છે કે આ શહેરોના નામ લેવામાં આવ્યાં છે, તેનો મતલબ એ નથી કે અન્ય શહેરો સુરક્ષિત નથી. દરેક રાજ્ય પોલીસ તથા રાજ્યોની ગુપ્તચર એજન્સી પોતાના શહેરોને લઇને સજાગ રહે.