મોદીના વ્યક્તિગત પ્રહારોથી ત્રાસેલા રાહુલ-સોનિયા ECના દરબારમાં
નવી દિલ્હી, 18 નવેમ્બર: કોંગ્રેસ પાર્ટીએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુધ્ધ ચૂંટણી પંચમાં એકવાર ફરી ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલામાં કરવામાં આવી છે. ફરિયાદમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નરેન્દ્ર મોદીની ટિપ્પણીને વ્યક્તિગત હુમલો ગણાવ્યો છે.
અત્રે નોંધનીય છે કે કેટલાંક દિવસ પહેલા છત્તીસગઢના બેમતરામાં નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી રેલીમાં સોનિયા અને રાહુલ ગાંધી પર ટિપ્પણી કરી હતી. વડાપ્રધાન પદ માટે ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગાંધી પરિવાર પર સીધો હુમલો કરતા રાહુલને પૂછ્યું હતું કે 'શું છત્તીસગઢ માટે કેન્દ્રીય ધનરાશિ તેમના 'મામાના ઘરે'થી આવી હતી. મોદીએ આની સાથે જ જણાવ્યું કે સોનિયા ગાંધીને સ્વાસ્થ્યના આધારે કોંગ્રેસની કમાન 'શહઝાદે'ને સોંપી દેવી જોઇએ.
કોંગ્રેસ અધ્યક્ષ પર વ્યક્તિગત હુમલો કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 'મેડમ, આપ બીમાર છો, તો શહેઝાદાને કોંગ્રેસ પાર્ટીની કમાન સોંપી દો.' મોદીએ પોતાના ભાષણમાં રાહુલનો ઉલ્લેખ 'શાહઝાદા' તરીકે કર્યો. દિલ્હીમાં કોંગ્રેસે આ ટિપ્પણીના પગલે મોદી પર પલટવાર કર્યો હતો અને તેણે દેશની માફી માંગવા પણ જણાવ્યું હતું.