પીએમ માંગો માફી, નહીં તો સદનમાં બોલવા નહીં દઇએ - કોંગ્રેસ
રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પીએમની આવી મજાક કરી પીએમ પદની ગરિમાને ઠેસ પહોંચાડી છે. તેમણે કહ્યું કે પીએમના નિવેદનથી સંસદ અને દેશને ઠેસ પહોંચી છે.
રાજ્યસભામાં ધન્યાવાદ પ્રસ્તાવ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભાષણ આપ્યું હતું, જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અંગે તેમણે વિવાદાસ્પદ નિવેદન કરતાં કોંગ્રેસ તથા મનમોહન સિંહના સમર્થકોએ વાંધો ઉઠાવ્યો છે. બુધવારે કોંગ્રેસે ચીમકી આપી હતી કે, જ્યાં સુધી વડાપ્રધાન પોતાના આ અસહ્ય નિવેદન પર માફી નહીં માંગે, ત્યાં સુધી તેમને પાર્લામેન્ટમાં બોલવા દેવામાં નહીં આવે.
|
પીએમનું વિવાદાસ્પદ નિવેદન
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, તેમના કાર્યકાળમાં આટલો ભ્રષ્ટાચાર થયો હોવા છતાં, તેમની પર એક પણ ડાઘ ન લાગ્યો. તેમણે મજાકિયા અંદાજમાં આગળ કહ્યું કે, બાથરૂમમાં પણ રેઇનકોટ પહેરીને નાહવાની કળા તો કોઇ ડૉક્ટર સાહેબ પાસેથી શીખે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદન બાદ કોંગ્રેસે રાજ્યસભામાંથી વોક આઉટ કરી દીધું હતું.
|
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનના પદને કલંકિત કર્યું - રાહુલ ગાંધી
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ નિવેદન અંગે ટ્વીટ કરી પોતાના નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું, "નરેન્દ્ર મોદી વડાપ્રધાનના પદનું સ્તર જેટલું નીચે લઇ ગયા છે, એટલું તો આજ સુધી કોઇએ નથી કર્યું. સંસદમાં જે કંઇ પણ થયું તે શરમજનક છે." ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ જ્યારે આ નિવેદન કર્યું ત્યારે મનમોહન સિંહ પણ સદનમાં હાજર હતા. તેમણે આ નિવેદન પર કોઇ પણ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી હતી.
સદનમાં આવી ભાષાનો પ્રયોગ અમે ક્યારેય નથી કર્યો - કપિલ સિબલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબલે આ અંગે મીડિયા સામે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તમે વિપક્ષ સામેની ડિબેટમાં કે નિવેદનમાં આ પ્રકારની ભાષાનો ઉપયોગ કઇ રીતે કરી શકો. અમે પણ નરેન્દ્ર મોદીનું નામ આવતાં જ આ રીતે વ્યક્તિગત ટિપ્પણીઓ કરી શકીએ છીએ, પરંતુ અમે આવું ક્યારેય નથી કર્યું.
ચિદમ્બરમે પણ કર્યો વિરોધ
ભૂતપૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમે કહ્યું હતું કે, વડાપ્રધાન ક્યારેય વિપક્ષનું ભાષણ સાંભળવા સદનમાં હાજર નથી રહેતાં. આજે પણ તેમના આવવાનો સમય 5 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો હતો, આમ છતાં તેઓ વિપક્ષના છેલ્લા નેતાનું ભાષણ પૂરું થયા પછી જ આવ્યા અને પોતાનું ભાષણ શરૂ કર્યાની થોડી મિનિટોમાં જ તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન પર અસહ્ય ટિપ્પણી કરી નાંખી. એક વડાપ્રધાન તરીકે પૂર્વ વડાપ્રધાન માટે આવી ભાષાનો પ્રયોગ અને ડૉ. મનમોહન સિંહ અંગે આવું કઠોર અને અશોભનીય નિવેદન ખરેખર અસહ્ય છે. અમે ખરેખર ખૂબ નારાજ છીએ, આથી જ અમે વોક આઉટ કરી અમારો વિરોધ નોંધાવ્યો. બાકી અમે પણ ત્યાં જ બેસી વડાપ્રધાનને સામો જવાબ આપી શક્યા હોત અને સદનમાં જ વિવાદ ઊભો કરી શક્યા હોત. પરંતુ અમે વડાપ્રધાન જેટલી નીચલા સ્તરની દલીલબાજીમાં પડવા નહોતા માંગતા. આ પહેલાં ક્યારેય કોઇ વડાપ્રધાને ભૂતપૂર્વ વડાપ્રધાન વિશે વાત કરતી વખતે આવી ભાષાનો ઉપયોગ કર્યો નથી.
અહીં વાંચો