રાહુલની ટિપ્પણી બાદ સરકાર દાગી નેતાઓ પર વટહુકમ પાછો ખેંચી શકે
નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર : આજે દિલ્હીમાં ચાલી રહેલી એક પત્રકાર પરિષદમાં અચાનક પહોંચી ગયેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમની સરકાર દ્વારા દાગી નેતાઓને ચૂંટણી લડવા દેવા અંગે લાવવામાં આવેલ વટહુકમ સંપૂર્ણ રીતે બકવાસ છે અને તેને ફાડીને ફેંકી દેવો જોઇએ એવી ટિપ્પણી કર્યા બાદ હોબાળો મચી ગયો હતો. રાહુલ ગાંધીના આ નિવેદનને પગલે ભડકેલી કેન્દ્રની યુપીએ સરકાર હવે આ વટહુકમને પાછો ખેંચવા માટે દોડધામ કરી રહી છે.
આ વટહુકમ હાલ રાષ્ટ્રપતિની સહી મેળવવા માટે મોકલી આપવામાં આવ્યો છે. તેને સહી થતા પહેલા પાછો ખેંચી લેવા માટે સરકારે પ્રયત્નો શરૂ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે આ વટહુકમ આવ્યો ત્યારે વિવિધ રાજકીય પક્ષો સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ તેને દાગી નેતાઓને બચાવવાનો પ્રયાસ ગણાવી તેનો વિરોધ નોંધાવ્યો હતો.

આજે રાહુલે પત્રકારોને જણાવ્યું હતું કે 'મારી સરકારે આ વટહુકમ લાવીને ખોટો નિર્ણય કર્યો છે. મારા મત મૂજબ આ વટહુકમનો કોઇ અર્થ નથી. શું તેનાથી દાગી નેતાઓને ટીકિટ મળવાનું બંધ થઇ જશે? નહી થાય. બીજા શું કરે છે મને એનાથી કોઇ મતલબ નથી પરંતુ મારી સરકાર શું કરે છે મને એનાથી મતલબ છે, મારી સરકારનો મને આ નિર્ણય માન્ય નથી.'
ઉલ્લેખનીય છે કે આ સપ્તાહમાં કેબિનેટમાં આ વટહુકમને મંજુરી મળ્યા બાદ તેને ઉતાવળથી શા માટે પસાર કરી દેવામાં આવ્યો તે અંગે ચર્ચાએ જોર પકડ્યું હતું. વટહુકમમાં સુપ્રીમ કોર્ટના એ ચુકાદાને હળવો બનાવવામાં આવ્યો હતો જેમાં કહેવાયું હતું કે જે ચૂંટાયેલા નેતા કોઇ ગુનામાં દોષિત ઠરે અથવા બે વર્ષની જેલની સજા ભોગવી હોય તે આપોઆપ ચૂંટણી લડવા અને પદ પર ચાલુ રહેલા ગેરલાયક ઠરે છે.
કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવેલા વટહુકમ અનુસાર ગુનામાં દોષિત અને જેલની સજા ભોગવી ચૂકનાર નેતા તેમના હોદ્દા પર પગાર લીધા વિના અને મતદાનનો હક ગુમાવીને ચાલુ રહી શકે તેવી જોગવાઇ કરવામાં આવી હતી.
આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી હોવાથી આ મુદ્દે સ્વયં કોંગ્રેસ પાર્ટી અને સરકારમાં મતભેદો સર્જાયા હતા. જેના પગલે કોંગ્રેસના નેતાઓ સંદીપ દીક્ષિત, મિલિંદ દેવરા, દિગ્વિજય સિંગ, પ્રિયા દત્ત અને અનિલ શાસ્ત્રીએ તેને ઉતાવળિયું પગલું ગણાવ્યું હતું. જો કે કાયદા પ્રધાન કપિલ સિબ્બલે રાહુલની ટિપ્પણી પહેલા આ વટહુકમનો બચાવ કર્યો હતો.












Click it and Unblock the Notifications
