ચંદ્ર બાદ હવે ઈસરોની નજર સુર્ય તરફ, જાણો કેટલુ ખાસ છે ભારતનું આદિત્ય એલ-1 મિશન?
ભારતની અવકાશ રિસર્ચ સંસ્થા ઇસરો અવકાશમાં એક પછી એક મોટા માઈલ સ્ટોન પાર કરી રહી છે. બહુ જલ્દી ઈસરોનું ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર ઉતરવા માટે તૈયાર છે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 3 ઉતરતા જ ભારત આવુ કરનારો ચોથો દેશ બની જશે.
ઈસરો એક પછી એક મિશન કરી રહ્યું છે ત્યારે ચંદ્રયાન બાદ બહુ જલ્દી સુરજ તરફ પોતાની નજર દોડાવી છે. હવે ભારતનું પહેલુ સુર્ય મિશન આદિત્ય એલ-1 ઉડાન ભરવા માટે તૈયાર છે. ઈસરો આ માટેની છેલ્લી તૈયારીઓ કરી રહ્યું છે.

ઈસરો આદિત્ય L-1 લોન્ચ કરવાની તૈયારીઓને અંતિમ રૂપ આપી રહી છે. એક તરફ ચંદ્રયાન લેન્ડિંગ કરશે તો બીજી તરફ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી આદિત્ય એલ-1 લોન્ચ કરવાની સંભાવના પર કામ ચાલી રહ્યું છે.
જણાવી દઈએ કે, આદિત્ય એલ-1 શ્રીહરિકોટા પહોંચી ગયુ છે. અત્યાર સુધીની યોજના અનુસાર, સૂર્યનો અભ્યાસ કરવા માટેનું આ દેશનું પ્રથમ મિશન સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોંચ કરાઈ શકે છે. આને ઈસરોના યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરમાં બનાવવામાં આવ્યું છે.
આદિત્ય એલ-1 સૂર્યનો પર અભ્યાસ કરશે અને પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટરની મુસાફરી કરીને હાલો ઓર્બિટમાં રહેશે. ઈસરોનું માનવું છે કે આ ભ્રમણકક્ષામાં ઉપગ્રહ સ્થાપિત કરવાનો ફાયદો એ છે કે અહીંથી સૂર્ય પર સતત નજર રાખી શકાય છે. આ તે સ્થાન છે જ્યાં સૂર્યગ્રહણની કોઈ અસર થતી નથી. સૂર્યની ગતિવિધિઓ અને અવકાશ પર તેની અસરનો ઊંડો અભ્યાસ કરવાનું સરળ બનશે.
આદિત્ય એલ-1 મિશન વિવિધ સાત પેલોડ સાથે અવકાશમાં રવાના થશે. આ બધા પેલોડથી સૂર્યના વિવિધ ભાગોનો સ્ટડી કરાશે. આ મિશનનો ઉદ્દેશ સૂર્યમંડળના ઉપરના વાતાવરણમાં ગતિશીલતાની શોધ કરવાનો છે.
આ અભ્યાસ સૂર્યના કોરોનામાં ગરમી સંબંધિત રહસ્યને સમજવામાં મદદ કરશે. અવકાશમાં હવામાનના ફેરફારો સરળતાથી જાણી શકાશે. મિશનનો એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય સૂર્યના વિસ્તરણ, પ્રભાવ અને ગતિશીલતાને સમજવાનો છે.












Click it and Unblock the Notifications
