Agnipath scheme : અગ્નિપથ સ્કીમ પર લાગી સુપ્રીમ કોર્ટની મહોર, કહી આ વાત
Agnipath scheme : સુપ્રિમ કોર્ટે સશસ્ત્ર દળોમાં ભરતી માટે સરકારની અગ્નિપથ સ્કીમને યથાવત રાખવાવાળા દિલ્હી હાઇકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દેવામાં આવી છે. આ સાથે કોર્ટે અગ્નિપથ યોજનાને યોગ્ય ગણાવી છે.
સુપ્રિમ કોર્ટે અગ્નિપથ યોજના શરૂ થાય, તે પહેલા ભારતીય વાયુસેનામાં ભરતી સંબંધિત અન્ય અરજીની સુનાવણી માટે 17 એપ્રિલની તારીખ નક્કી કરી છે.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની ખંડપીઠે જણાવ્યું હતું કે, અગ્નિપથ યોજનાની રજૂઆત પહેલાં સંરક્ષણ દળો માટે રેલીઓ, શારીરિક અને તબીબી પરીક્ષણો જેવી ભરતી પ્રક્રિયાઓ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને નિમણૂકનો સ્વાભાવિક અધિકાર નથી.
અમે હાઇકોર્ટના નિર્ણયમાં દખલગીરી કરવા માંગતા નથી
હાઈકોર્ટના નિર્ણય સામે ગોપાલ કૃષ્ણ અને એડવોકેટ એમએલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અલગ-અલગ અરજીઓને ફગાવી દેતા સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે, માફ કરશો, અમે હાઈકોર્ટના નિર્ણયમાં દખલગીરી કરવા માગતા નથી. હાઈકોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં લીધા હતા.
સર્વોચ્ચ અદાલતે 27 માર્ચના રોજ સશસ્ત્ર દળોમાં ભરતી માટેની કેન્દ્રની યોજનાને સમર્થન આપતા દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરવા સંમત થઈ હતી. નોંધનીય છે કે, હાઈકોર્ટે 27 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે, અગ્નિપથ યોજના રાષ્ટ્રીય સુરક્ષા જાળવવાના પ્રશંસનીય ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય હિતમાં તૈયાર કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને પડકારતી અરજીઓ દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, આ યોજના રાષ્ટ્રીય હિતમાં બનાવવામાં આવી છે અને તે સુનિશ્ચિત કરવા માટે કે સશસ્ત્ર દળો વધુ સારી રીતે સજ્જ છે.
અગ્નિપથ યોજના 14 જૂન, 2022ના રોજ રજૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતી માટે નવા નિયમો આપવામાં આવ્યા હતા. આ નિયમો અનુસાર, 17½ વર્ષથી 21 વર્ષની વયજૂથના યુવાનો જ ઉમેદવાર બની શકે છે અને તેમને ચાર વર્ષની મુદત માટે સામેલ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
