કૃષિકાયદો વિવાદ : મોદી સરકાર MSP પરની માગ કેમ માનતી નથી?
ભારતની રાજધાની દિલ્હીની બૉર્ડર પર ખેડૂતોનાં ધરણાં-પ્રદર્શનનો સોમવારે પાંચમો દિવસ થયો.
પંજાબ-હરિયાણા-ઉત્તર પ્રદેશથી દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો તાજેતરમાં સરકાર દ્વારા બનાવેલા નવા ત્રણ કૃષિકાયદાનો વિરોધ કરી રહ્યા છે.
'અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ' અનુસાર તેમની મુખ્ય માગોમાંથી એક છે, "સરકાર લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી)થી ઓછી કિંમત પરની ખરીદીને ગુનો જાહેર કરે અને એમએસપી પર સરકારી ખરીદી લાગુ રહે."
એમએસપી પર ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્વીટ કરીને કહી ચૂક્યા છે, "હું અગાઉ પણ કહી ચૂક્યો છું અને ફરી એક વાર કહું છું. એમએસપીની વ્યવસ્થા ચાલુ રહેશે, સરકારી ખરીદી ચાલુ રહેશે. "
"અમે અહીં આપણા ખેડૂતોની સેવા માટે છીએ. અમે અન્નાદાતાઓની સહાયતા માટે શક્ય એટલા પ્રયાસો કરીશું અને આવનારી પેઢીઓ માટે ઉત્તમ જીવન સુનિશ્ચિત કરીશું."
https://twitter.com/narendramodi/status/1307617490873196544
તેમનું આ ટ્વીટ 20 સપ્ટેમ્બર, 2020નું છે.
જોકે આ વાત સરકાર બિલમાં લખી દેવા માટે તૈયાર નથી. સરકારની દલીલ છે કે અગાઉના કાયદાઓમાં પણ લેખિતમાં આ વાત ક્યાંય નહોતી. એટલે નવા બિલમાં તેને સામેલ કરવામાં આવી નથી.
પરંતુ વાત એટલી સરળ છે, જેવો કે તર્ક આપવામાં આવે છે?
હકીકતમાં એમએસપી પર સરકારી ખરીદી ચાલુ રહે અને તેનાથી ઓછી કિંમતે ખરીદીને ગુનો જાહેર કરવું એટલું સરળ નથી, જેટલું કિસાન સંગઠનોને લાગી રહ્યું છે.
સરકાર માટે આવું કરવું મુશ્કેલ કેમ છે?
આ જાણતા પહેલાં એ જાણવું જરૂરી છે કે એમએસપી શું છે અને કેવી રીતે નક્કી થાય છે.
એમએસપી શું છે?
ખેડૂતોનાં હિતોની રક્ષા માટે દેશમાં 'લઘુતમ સમર્થન મૂલ્ય' (એમએસપી)ની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. જો ક્યારેક પાકની કિંમતો બજારમાં હિસાબે ઘટી જાય તો, કેન્દ્ર સરકાર નક્કી લઘુતમ સમર્થન મૂલ્ય પર ખેડૂતોના પાક ખરીદે છે, જેથી ખેડૂતોને નુકસાનથી બચાવી શકાય.
કોઈ પણ પાકની એમએસપી આખા દેશમાં એક જ હોય છે. ભારત સરકારનું કૃષિમંત્રાલય, કૃષિ લાગત અને મૂલ્યઆયોગ (કમિશન ફૉર એગ્રિકલ્ચર કૉસ્ટ ઍન્ડ પ્રાઇસેસ CACP)ની ભલામણને આધારે એમએસપી નક્કી થાય છે. આ હેઠળ હાલમાં 23 પાકની ખરીદી કરાય છે.
આ 23 પાકમાં ધાન્ય, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, મગ, મગફળી, સોયાબીન, તલ અને કપાસ વગેરે સામેલ છે.
એક અનુમાન અનુસાર દેશમાં માત્ર છ ટકા ખેડૂતોને એમએસપી મળે છે, જેમાં સૌથી વધુ ખેડૂતો પંજાબ, હરિયાણાના છે અને એ કારણે નવા બિલનો વિરોધ પણ આ વિસ્તારોમાં વધુ થઈ રહ્યો છે.
કૃષિકાયદાથી અત્યાર સુધીમાં શું બદલાયું?
ભારત સરકારના પૂર્વ કૃષિસચિવ સિરાજ હુસેન કહે છે કે એમએસપીને લઈને ખેડૂતોની ચિંતા પાછળ કેટલાંક કારણ છે.
"સરકારે હજુ સુધી લેખિતમાં એવો કોઈ ઑર્ડર કર્યો નથી કે પાકની સરકારી ખરીદી ચાલુ રહેશે. હજુ સુધી જે પણ વાતો થઈ રહી છે એ મૌખિક થઈ રહી છે. ખેડૂતોની ચિંતાનું આ પણ એક કારણ છે."
અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે સરકારી ખરીદી ચાલુ રહેશે એનો ઑર્ડર કૃષિમંત્રાલયથી નહીં પણ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય તરફથી થાય છે.
બીજું કારણ છે 'રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમૅન્ટ ફંડ' રાજ્ય સરકારોને ન આપવું.
કેન્દ્ર સરકાર ત્રણ ટકાનું આ ફંડ દર વર્ષે રાજ્ય સરકારોને આપતી હતી પણ આ વર્ષે કેન્દ્ર સરકારે આ ફંડ આપવાની ના પાડી દીધી છે.
આ ફંડનો ઉપયોગ ગ્રામ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર (જેમાં કૃષિસુવિધા પણ સામેલ છે) માટે કરવામાં આવતો હતો.
નવા કૃષિકાયદા બન્યા બાદ બે મહત્ત્વના ફેરફાર ખેડૂતોને દેખાઈ રહ્યા છે.
કારણ 1 : પાકની ગુણવત્તાના માપદંડ કેવી રીતે નક્કી થશે?
સિરાજ હુસેન કહે છે કે જો એમએસપી પર ખરીદીની જોગવાઈ સરકાર કાયદામાં જોડી દે તો કાયદાનું પાલન કેવી રીતે કરાશે?
એમએસપી હંમેશાં એક 'ફૅયર ઍવરેજ ક્વૉલિટી' માટે હોય છે. એટલે કે પાકની નક્કી કરાયેલી ગુણવત્તા હશે તો જ લઘુતમ સમર્થન મૂલ્ય અપાશે. હવે કોઈ પાક ગુણવત્તાના માપદંડો પર ખરો ઊતરે છે કે નહીં એ કેવી રીતે નક્કી કરાશે?
જે પાક એ માપદંડો પણ ખરો નથી ઊતર્યો એનું શું થશે?
આવી સ્થિતિમાં સરકાર કાયદામાં ખેડૂતોની માગ સામેલ કરી લે તો પણ કાયદાને અમલમાં લાવવામાં મુશ્કેલી થશે.
કારણ 2 : ભવિષ્યમાં સરકારી ખરીદી ઓછી થવાની શક્યતા
બીજા કારણ અંગે સિરાજ હુસેન કહે છે કે સરકારને ઘણી સમિતિઓએ ભલામણ કરી છે કે ઘઉં અને ધાન્યની ખરીદી સરકારે ઓછી કરવી જોઈએ.
તેનાથી સંબંધિત શાંતા કુમાર કમિટીથી લઈને નીતિ આયોગનો રિપોર્ટ સરકાર પાસે છે.
સરકાર આ ઉદ્દેશ હેઠળ કામ કરી રહી છે. આવનારા દિવસોમાં આ ખરીદી ઓછી થવાની છે. આ ડર ખેડૂતોને પણ સતાવી રહ્યો છે.
આથી જો પાક સરકાર ખરીદશે કે નહીં, ખરીદશે તો કેટલું, અને ક્યારે ખરીદશે, જ્યાં આ સુધી નક્કી નથી તો લેખિતમાં પહેલેથી એમએસપીવાળી વાત કાયદામાં કેવી રીતે કહી શકે છે?
આરએસ ઘુમન, ચંદીગઢના 'સેન્ટર ફૉર રિસર્ચ ઇન રૂરલ ઍન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમૅન્ટ'માં પ્રોફેસર છે. કૃષિ અને અર્થશાસ્ત્ર પર તેમની મજબૂત પક્કડ છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓએ ઉપર જણાવેલા તર્ક સિવાય પણ કારણો જણાવ્યાં છે, જે કારણે સરકાર ખેડૂતોની એમએસપી સંબંધિત માગ માની નથી રહી.
કારણ 3 : ખાનગી કંપનીઓ એમએસપી પર પાક ખરીદવા તૈયાર નહીં થાય
આરએસ ઘુમન અનુસાર ભવિષ્યમાં સરકારો ઓછું ખરીદશે તો સ્વાભાવિક છે કે ખેડૂતો ખાનગી કંપનીઓને પાક વેચશે.
જો ખાનગી કંપનીઓ એમએસપી પર ખરીદશે તો તેનું નુકસાન થઈ શકે છે (બજારભાવ હંમેશાં એક નથી રહેતા) અને ઓછું ખરીદશે તો તેની પર કેસ થશે. (જો ખેડૂતોની એમએસપીવાળી શરત સરકાર માની લે તો).
આથી સરકાર ખાનગી કંપનીઓ પર આ શરત થોપવા માગતી નથી. તેમાં સરકારનાં પણ કેટલાંક હિત જોડાયેલાં છે અને ખાનગી કંપનીઓને તેનાથી મુશ્કેલી થશે.
જોકે કેન્દ્ર સરકારમાં કૃષિસચિવના પદ પર રહેલા સિરાજ હુસેન નથી માનતા કે કૉર્પોરેટના દબદબાને કારણે સરકાર આવું કરવા માગતી નથી. તેમને આ દલીલ સ્વીકાર્ય નથી.
કારણ 4 : ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ શકે
https://www.youtube.com/watch?v=bsX9HEDlYxw
આરએસ ઘુમન અનુસાર અર્થવ્યવસ્થાના આધારે પણ એમએસપી પર સરકારની હિચકિચાટને એક રીતે સમજી શકાય છે. તેના માટે બે શબ્દ સમજવા જરૂરી છે.
પહેલો શબ્દ છે 'મોનૉપોલી'. મતલબ કે વેચનાર એક હોય અને તેની મનમાની ચાલતી હોય તો તે મનમાની કિંમત વસૂલી શકે છે.
બીજો શબ્દ છે 'મોનૉપ્સની'. મતલબ કે ખરીદનાર એક હોય અને તેની મનમાની ચાલે તો તે ઇચ્છે એ કિંમત પર સામાન ખરીદશે.
આરએસ ઘુમનનું કહેવું છે કે સરકારે જે નવા કાયદા પસાર કર્યા છે તેનાથી આગામી દિવસોમાં કૃષિક્ષેત્રમાં 'મોનૉપ્સની' બનવાની છે. કેટલીક કંપનીઓ જ કૃષિક્ષેત્રમાં પોતાનું એક કાર્ટેલ (ગઠજોડ) બનાવી લેશે તો એ જે કિંમત નક્કી કરશે એ પ્રમાણે ખેડૂતોએ સામાન વેચવો પડશે.
જો એમએસપીની જોગવાઈ કાયદામાં જોડી દેવામાં આવે તો ખેડૂતો પર ખાનગી કંપનીઓનું વર્ચસ્વ ખતમ થઈ શકે છે. તેનું પરિણામ એ પણ આવી શકે કે આ કંપનીઓ પાકને ઓછો ખરીદશે.
સરકાર પાસે કોઈ રસ્તો નથી કે તેનાથી તે એમએસપી પર બધો પાક ખરીદવા માટે ખાનગી કંપનીઓને બાધ કરી શકે. એ પણ જ્યારે સરકાર ખેડૂતોના પાકને ઓછો ખરીદવા પર પહેલેથી મન બનાવી રહી છે.
એવામાં ખેડૂતો માટે મુશ્કેલીઓ વધી શકે છે. તે પોતાનો પાક કોને વેચશે. એવામાં બની શકે કે એમએસપી તો દૂર, તેમનું રોકાણ પણ ન નીકળી શકે.
કારણ 5 : પાકની કિંમતનો આધાર- સરકાર નક્કી કરવાથી બચવા માગે છે
આરએસ ઘુમન કહે છે, "એમએસપી-ખેડૂતોના પાકની કિંમત નક્કી કરવાનો એક લઘુતમ આધાર આપે છે, એક રેફરન્સ પૉઇન્ટ આપે છે, જેથી પાકની કિંમત તેનાથી ઓછી ન થાય. એમએસપી તેમને એક સોશિયલ સુરક્ષા આપે છે."
જ્યારે ખાનગી કંપનીઓ સામાનની કિંમતો માગ અને પુરવઠાને આધારે નક્કી કરે છે. આ તેમનો તર્ક છે.
એટલે સરકાર બંને પક્ષોના વિવાદમાં પડવા માગતી નથી.
સરકાર આ આખા મુદ્દાને દ્વીપક્ષીય રાખવા માગે છે. જો કાયદામાં એમએસપીની જોગવાઈ જોડી દેવામાં આવે તો તેનાથી જોડાયેલા દરેક કેસમાં ત્રણ પક્ષ સામેલ થશે- એક સરકાર, એક ખેડૂત અને ત્રીજો ખાનગી કંપની.
વિવાદનો ઉકેલ શું છે?
https://www.youtube.com/watch?v=0ikqgxr0Vc8&t=2s
એક અનુમાન પ્રમાણે ભારતમાં 85 ટકા નાના ખેડૂતો છે, જેની પાસે ખેતી માટે પાંચ એકરથી ઓછી જમીન છે.
આરએસ ઘુમનનું માનવું છે કે એમએસપીથી નીચે ખરીદીને ગુનો જાહેર કરવા પરનો વિવાદ ખતમ થતો દેખાતો નથી. ત્રણેય કાયદા પરત લેવા જ એકમાત્ર રસ્તો છે.
હાલમાં સરકાર કાયદો પરત લેવા માટે રાજી જણાતી નથી.
જોકે પૂર્વ કૃષિસચિવ સિરાજ હુસેન કહે છે કે તેનો એક જ રસ્તો છે કે સરકાર ખેડૂતોને ડાયરેક્ટ ફાયનાન્સિયલ સપૉર્ટ આપે, જેવું 'કિસાન સન્માન નિધિ'ના માધ્યમથી કરવામાં આવે છે.
અને બીજો ઉપાય એ છે કે ખેડૂતો અન્ય પાકો પણ ઉગાડે, જેની માર્કેટમાં માગ છે. હાલમાં ખેડૂતો માત્ર ઘઉં, ધાન્ય ઉગાડવા પર ભાર આપે છે અને દાળ અને તેલીબિયાં પર ઓછું ધ્યાન આપે છે. તેનાથી માર્કટનું ડાયનેમિક્સ બની રહેશે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=J0PUcDZkdIU
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો