AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી 7 સપ્ટેમ્બરથી યુપી પ્રવાસ શરૂ થશે
ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી 2022 માટે વધુ સમય બાકી નથી. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષોએ પોતાની રાજકીય તાકાત વધારવા અને ચૂંટણી પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે.
લખનઉ : ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી 2022 માટે વધુ સમય બાકી નથી. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષોએ પોતાની રાજકીય તાકાત વધારવા અને ચૂંટણી પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ત્રણ દિવસની યુપીની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 7 સપ્ટેમ્બરથી અયોધ્યાથી પોતાનો યુપી પ્રવાસની શરૂઆત કરશે.
અસદુદ્દીન ઓવૈસી રૂદૌલી (અયોધ્યા) અને સુલતાનપુરમાં યોજાનારા પાર્ટી કાર્યક્રમોમાં ભાગ લેશે. ત્યાં પાર્ટીના કાર્યકર્તાઓને પણ મળશે. પાર્ટીના પ્રવક્તા અસીમ વકારે મીડિયાને આ અંગે માહિતી આપી હતી. વકારે કહ્યું કે, 7 સપ્ટેમ્બરના રોજ ઓવૈસી રુદૌલી નગરમાં વંચિત શોષિત સંમેલનને સંબોધિત કરશે. 8 સપ્ટેમ્બરના રોજ સુલતાનપુરમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે છે. જે બાદ પ્રવાસના અંતિમ દિવસે એટલે કે, 9 સપ્ટેમ્બરના રોજ ઓવૈસી બારાબંકી જશે.
રાજકારણમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, સીટ વહેંચણી અંગે સર્વસંમતિના અભાવે ઓવૈસીએ સયુંકત મોરચાના બેનર હેઠળ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. આ કારણોસર ઓમપ્રકાશ રાજભરે પણ ઓવૈસીની બેઠકથી પોતાને દૂર રાખ્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ ચંદ્રશેખર સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. ઓમપ્રકાશ રાજભરે પણ આ બેઠકમાં હાજરી આપી હતી.