કદ વધારવાની દિશામાં એર ઈન્ડિયા, 500 નવા વિમાનો ઓર્ડર કરશે
કોરોના બાદ હવે યાત્રીઓ ફ્લાઈટમાં પરત ફરી રહ્યા છે ત્યારે હવે એર ઈન્ડિયા પણ પોતાના બિઝનેસના વિસ્તાર કરવામાં લાગ્યુ છે.
નવી દિલ્હી : ટાટાને સોંપાયા બાદ હવે એર ઈન્ડિયા તેના દબદબાને કાયમ કરવા માટે સતત પગલા ભરી રહી છે. કોરોના બાદ હવે યાત્રીઓ ફ્લાઈટમાં પરત ફરી રહ્યા છે ત્યારે હવે એર ઈન્ડિયા પર પોતાના બિઝનેસના વિસ્તારમાં લાગ્યુ છે. સામે આવેલા અહેવાલો પર વિશ્વાસ કરીએ તો એર ઈન્ડિયા તેના વિમાનોના કાફલામાં નવા 500 વિમાનોનો સમાવેેશ કરવા જઈ રહી છે.
એરલાઈન્સ ઈકોનોમિક્સ કોન્ફરન્સમાં એરલીઝ કોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન સ્ટીવન ઉદ્વર હેજીએ જણાવ્યું હતું કે રિકવરી બાદ એરલાઈન્સ તરફથી મોટા ઓર્ડર આપવામાં આવી રહ્યા છે.
એ ટ્રાવેલિંગમાં હવે સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે ત્યારે તેમણે કહ્યું કે, ભારત તરફથી 500 એરક્રાફ્ટનો ઓર્ડર આવવાનો છે, જેમાંથી 400 નેરો બોડી એરક્રાફ્ટ હશે. આમાં A320neos, A321neos અને 737 MAX વિમાનો સામેલ હશે. આ ઉપરાંત 100 વાઈડ બોડી એરક્રાફ્ટનો પણ ઓર્ડર અપાશે. આમાં 787s (બોઈંગ), 777X, (એરબસ) A350s અને 777 ફ્રેઈટર્સ હશે. જો કે આ મુદ્દે હજુ વાતચીત ચાલી રહી છે.
એર ઈન્ડિયાની કમાન ટાટા ગ્રુપે સંભાળી તેને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ટાટા જૂથ ઉડ્ડયન ક્ષેત્રમાં સતત વિસ્તરણ પર કામ કરી રહ્યું છે. હાલમાં જ ટાટાએ એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર ટાટા તેની ચાર એરલાઈન્સ બ્રાન્ડને એર ઈન્ડિયા લિમિટેડમાં મર્જ કરવા માંગે છે.
ટાટા સન્સ એર ઈન્ડિયા સાથે વિસ્તારાના મર્જરથી ઉડ્ડયન દબદબો કાયમ કરવા માંગે છે. વિલીનીકરણના નિર્ણય બાદ એર ઈન્ડિયા દેશમાં એરક્રાફ્ટની સંખ્યા અને બજાર હિસ્સાની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી એરલાઈન બની જશે.
એર ઈન્ડિયાને ખરીદવાની રેસમાં ટાટા જૂથ સફળ રહ્યું હતું અને જાન્યુઆરી 2022માં ટાટાએ ભારત સરકાર પાસેથી એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી. એર ઈન્ડિયાના અધિગ્રહણ પહેલા ટાટા પાસે વિસ્તારા અને એરએશિયા નામથી કાર્યરત બે એરલાઈન પહેલેથી જ હતી. એર ઈન્ડિયાના અધિગ્રહણ બાદ ટાટાને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ પણ મળી હતી. ટાટાએ કહ્યું કે એર એશિયાને ખરીદવાથી તે ઓછી કિંમતના કેરિયર તરીકે એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે મર્જ થઈ જશે. હવે ટાટા તમામ એરલાઈન્સને એર ઈન્ડિયા બ્રાન્ડના નામથી જ ઓપરેટ કરશે.