મહિલા પત્રકારને સંઘ દ્વારા મળી રહી છે ધમકી: માકન
નરેન્દ્ર મોદીને અભિવ્યક્તિની સ્વતંત્રતાના દુશ્મન ગણાવતા માકને આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી અને તેમના કાર્યકર્તા અગ્રણી નેતાઓ દ્વારા રાખવામાં આવેલી દેશની આધારશીલા પર સતત પ્રહાર કરી રહ્યા છે.
અજય માકને પાર્ટીની બ્રિફિંગમાં એક અંગ્રેજી અખબારની મહિલા પત્રકારને સરદાર વલ્લભભાઇ પટેલ પર લખેલા એક લેખના કારણે કથિત રીતે મળી રહેલી ધમકીઓનો મામલો ઉઠાવ્યો છે અને જણાવ્યું છે કે તેમણે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પાસે આ અંગેની તપાસ કરાવવા માટે જણાવ્યું છે.
તેમણે આરોપ લગાવ્યો છે કે મહિલા પત્રકારને સંઘ પરિવાર અને મોદીના સમર્થકો દ્વારા શારીરિક રીતે નુકસાન પહોંચાડવા અને બોમ્બ દ્વારા હુમલો કરવાની ધમકીભર્યા ફોન કોલ પણ આવી રહ્યા છે. આની પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
માકને જણાવ્યું કે એક બાજું તો મોદી સરદાર પટેલની પ્રતિમાનું શિલાન્યાસ કરી રહ્યા છે. અને બીજી તરફ અભિવ્યક્તિની સ્વાતંત્ર્યતા પર તરાપ મારીને સરદાર પટેલ દ્વારા મૂકવામાં આવેલી રાષ્ટ્રની આધારશિલા પર પ્રહાર કરી રહ્યા છે.