સપા-કોંગ્રેસના ગઠબંધન બાદ રાહુલ અખિલેશની પહેલી પત્રકાર પરિષદ
અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ સાથે મળી પત્રકાર પરિષદ સંબોધિત કરી. રાહુલ ગાંધીએ કહ્યું, બંન્ને પક્ષોએ અમુક સમાધાન કરવાના આવશે. પરંતુ આ ગઠબંધન ઉત્તર પ્રદેશના વિકાસને વેગ આપશે.
પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં સૌથી રસાકસી ભર્યું વાતાવરણ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. પહેલાં તો સમાજવાદી પાર્ટી અને અખિલેશ-મુલાયમના પરિવાર વિવાદને કારણે આ ચૂંટણી ચર્ચામાં રહી અને ત્યાર બાદ સપા અને કોંગ્રેસના ગઠબંધનના મુદ્દાને લઇને. સપા અનો કોંગ્રેસનું ગઠબંધન થયા બાદ આજે પહેલીવાર રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પત્રકાર પરિષદમાં સાથે જોવા મળ્યા હતા.
લખનઉની તાજ હોટેલમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ગઠબંધન બાદ આજે રવિવારના રોજ પહેલીવાર સંયુક્ત રીતે પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. આ પ્રસંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, 'ઉત્તર પ્રદેશ શબ્દમાં પહેલો શબ્દ છે ઉત્તર, આ અમારું ગઠબંધન એ એક જવાબ છે. ઇતિહાસમાં યુપીએ અલગ-અલગ સમય દરમિયાન દેશ અને દુનિયાને જવાબ આપ્યો છે. 1857માં યુપી એ કંપની રાજનો જવાબ આપ્યો હતો, એ જ રીતે અમે આજે દેશને વિભાજિત કરતી શક્તિઓને જવાબ આપી રહ્યાં છીએ.'

આ ગઠબંધન થયું એની મને ખુશી છે-રાહુલ ગાંધી
આ સાથે તેમણે ઉમેર્યું કે, આ ગઠબંધનથી યુપીની જનતાને પ્રગતિ પ્રાપ્ત થશે. મને ખુશી છે કે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. અખિલેશ અને મારી વચ્ચે વ્યક્તિગત મિત્રતા છે. એક સમયે આ ગઠબંધન યોગ્ય નહોતું, પરંતુ એનો અર્થ એ નથી કે આજે પણ આ ગઠબંધન અયોગ્ય છે. આ સમયે ઉત્તર પ્રદેશ, દેશ, કોંગ્રેસ અને સપા માટે આ ગઠબંધન યોગ્ય છે.

ફાસિસ્ટ શક્તિઓને હરાવીશું - રાહુલ ગાંધી
'આરએસએસ અને ફાસિસ્ટ શક્તિઓને હરાવવી એ અમારું લક્ષ્ય છે. અમે જ્યારે પણ લોકસભા ચૂંટણી માટે સપા સાથે ગઠબંધન કરીશું, ત્યારે તમને ચોક્કસ જણાવીશું અને આ અંગે ખુલીને વાત કરીશું. આ ગઠબંધન થકી અમે ઉત્તર પ્રદેશમાં પરિવર્તન લાવવા જઇ રહ્યાં છીએ, અમે ભાજપની જૂઠ્ઠી રાજનીતિ પર પૂર્ણ વિરામ મુકવા માંગીએ છીએ.' ચૂંટણી પ્રચાર મેદાનમાં પ્રિયંકા ગાંધીની કામગીરી અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, 'પ્રિયંકા મારી બહેન છે અને તે હંમેશા મારી મદદ કરે છે. તે પક્ષ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ચૂંટણી પ્રચાર કરવો કે નહીં, તે તેમની મરજીની વાત છે.'

માયાવતીનું સન્માન કરું છું - રાહુલ ગાંધી
'હું વ્યક્તિગત રીતે માયાવતીનું ખૂબ સન્માન કરું છું, તેમણે યુપીમાં સરકારની કામગીરી સંભાળી અને કેટલીક ભૂલો પણ કરી. પરંતુ માયાવતી અને ભાજપમાં ઘણો મોટો તફાવત છે. ભાજપ ક્રોધ અને ગુસ્સો ફેલાવે છે, એક ભારતીયને બીજા ભારતીય સાથે લડાવે છે, તેમની આવી વિચારધારા ભારત માટે જોખમરૂપ છે. જ્યારે માયાવતીની વિચારધારાથી દેશને કોઇ જોખમ નથી. ભારતે લડવું હશે તો દરેક ધર્મના લોકોએ એકસાથે ઊભા થવું પડશે, સૌને એકબીજા સાથે જોડીને જ આગળ વધવાનું છે, સંબંધ તોડીને દેશને આગળ વધારી શકાશે નહીં. માયાવતી અને ભાજપની સરખામણી ન કરી શકાય.'

લોકો નક્કી કરી ચૂક્યા છે કે કોને વોટ આપવો - અખિલેશ
અખિલેશ યાદવે આ પત્રકાર પરિષદમાં કહ્યું કે, 'અમે લોકસભામાં સાથે રહ્યાં, ઘણીવાર કાર્યક્રમોમાં ભેગા થયા, ખુશીની વાત એ છે કે સાથે કામ કરવાની આજે તક મળી છે. યુપી દેશનું મોટું રાજ્ય છે અને દેશને દિશા બતાવવાનું કામ કરે છે. આ પ્રોગ્રેસ(પ્રગતિ)નું ગઠબંધન છે, આ જનતાનું ગઠબંધન છે. લોકો ઇચ્છે છે કે ઉત્તર પ્રદેશમાં આ ગઠબંધન સફળ થાય. હું ખાતરી આપું છું કે રાજ્યમાં જે ગતિએ વિકાસનું કામ આગળ વધી રહ્યું છે તે કોંગ્રેસના આવવાથી વધુ ઝડપથી થશે. સાયકલ સાથે હાથ અને હાથ સાથે સાયકલ, તો વિચારો કેટલો ઝડપી વિકાસ થશે. એમાં કોઇ શંકા નથી કે આ ગઠબંધન 300થી વધુ સીટો મેળવશે. અમે સાથે મળીને વિકાસ કાર્યને આગળ ધપાવીશું. આ પહેલી ચૂંટણી છે અને લોકો નક્કી કરી ચૂક્યાં છે કે કોને વોટ આપવો.
લોકો પાસે તક છે એ લોકોને જવાબ આપવાની જેમણે લોકોને કતારમાં ઊભા રહેવાની ફરજ પાડી. હું ઉત્તર પ્રદેશની જનતાને ધન્યવાદ આપતા એટલું જ કહીશ કે આવનારા સમયમાં અમે દેશને હજુ આગળ વધારવાનો પ્રયાસ કરીશું.'

માયાવતી પર અખિલેશની ટિપ્પણી
જ્યારે અખિલેશ યાદવને પૂછવામાં આવ્યું કે, શું તેઓ માયાવતીને ફોઇ કહીને સંબોધતા હતા? જો તેમની સાથે ગઠબંધન કર્યું હોત તો ભાજપને હરાવવામાં સફળતા મળી હોત. આ સવાલના જવાબમાં અખિલેશે કહ્યું કે, હું હવે તેમને ફોઇ કહીને નથી સંબોધતો, માયાવતીજી બહુ વધારે જગ્યા લે છે, તેમનું ચૂંટણી ચિહ્ન હાથી છે, અમે બંન્ને માયાવતીને એટલી જગ્યા ન આપી શક્યા હોત.

અખિલેશના નેતૃત્વમાં યુપી ઝડપથી આગળ વધશે - રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'લખનઉમાં કોંગ્રેસ પક્ષનું એક સંમેલન થયું હતું. જેમાં મેં કહ્યું હતું કે અખિલેશ સારુ કામ કરી રહ્યાં છે, પરંતુ તેમને બરાબર કામ કરવા દેવામાં નથી આવતા. અખિલેશે પૂરતા પ્રયત્નો કર્યાં છે અને અમે ઇચ્છીએ છીએ અખિલેશના નેતૃત્વમાં યુપી ઝડપથી આગળ વધે, આ માટે જ અમે આ ગઠબંધન કર્યું છે. અમે યુપીના યુવાઓને એક વિકલ્પ આપવા માંગીએ છીએ. કોંગ્રેસ અને સપાની વિચારસરણીમાં સમાનતા પણ છે અને વિરોધ પણ છે, અમે સમાનતા સાથે આ ચૂંટણી લડવા માંગીએ છીએ. બંન્ને પક્ષોએ થોડું સમાધાન કરવું પડશે.
યમુના અને ગંગા એક સાથે આવે ત્યારે બધા સવાલો પર પૂર્ણવિરામ મુકાઇ જાય છે. અમે યુપીના યુવાઓને એક તક આપી છે, ગંગા અને યમુના એક સાથે આવી ગઇ છે અને હવે માત્ર પ્રગતિની સરસ્વતી વહેશે. તમામ સવાલો હવે પૂરા થઇ ગયા છે, એક જ જવાબ મળ્યો છે, 300થી વધુ સીટો મળશે. અમે મોદીજીને સમજાવીશું કે દેશ એક છે, ધર્મને આધારે અમને વિભાજિત નહીં કરી શકાય અને આ અંગે અમે કોઇ સમાધાન પણ નહીં કરીએ.'

અચ્છે દિન વાળા ક્યાંય દેખાતા નથી - અખિલેશ યાદવ
'અમારું કામ બોલે છે. ઘણીવાર આપણે સુનિશ્ચિત કરવા માંગતા હોઇએ છીએ કે ક્યાંય કોઇ ચૂક ન રહી જાય, જ્યારે અમે પૂર્ણ બહુમતિવાળી સરકારમાં આવીશું તો સ્પષ્ટ થઇ જશે કે લોકોને અમારો સાથે પસંદ છે. અચ્છે દિન વાળા તો દેખાતા જ નથી, અચ્છે દિન વાળાઓનું ઘોષણા પત્ર તમે જોઇ લીધું, એમાં શું છે? અમારું ઘોષણા પત્ર હૃદયવાળું છે, જ્યારે તેમનું ઘોષણા પત્ર મગજવાળું છે. ગરીબ અને જનતાએ નક્કી કરી જ લીધું છે કે કોની સરકાર બનશે.'

અખિલેશના કામ અંગે બોલ્યા રાહુલ ગાંધી
'અખિલેશની નિયતિ સાચી છે, તેમણે પૂરો પ્રયત્ન કર્યો, અમે એ જ નિયતિને સમર્થન આપવા માંગીએ છીએ. અખિલેશ યુપીને બદલવા માંગે છે અને અમે આ કાર્યમાં તેમની મદદ કરી શકીએ છીએ. રાજકારણ નિયતથી થાય છે. આરએસએસ અને મોદીજીની નિયત ચોખ્ખી નથી. મોદીજી કહે છે, હું ડિજિટલ ઇન્ડિયા કરવા માંગુ છું, સ્ટાર્ટઅપ ઇન્ડિયા કરવા માંગુ છું, પરંતુ આ બધા વાયદાઓ ખોખલા છે, તેમની નિયત સારી નથી. છેલ્લા પાંચ વર્ષોમાં અખિલેશે જે કર્યું એ તમારી સામે છે, હવે અમે નવી પદ્ધતિ સાથે યુપીના યુવાઓ માટે પ્લેટફોર્મ ઊભું કરવા માંગીએ છીએ.'













Click it and Unblock the Notifications
