ભારતની યુનિવર્સિટીના પુસ્તકમાં અલ કાયદાની કવિતાથી વિવાદ
યુનિવર્સિટીએ ઇબ્રાહિમ અલ રુબૈશ અંગે લખ્યું છે કે રુબૈશને અમેરિકાએ 2001માં પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સીમા નજીક પકડ્યા હતા. તેઓ આ સીમા પાસે ભણાવતા હતા. તેમને જ્યારે પકડવામાં આવ્યા ત્યારે તેઓ ત્રણ માસની બાળકીના પિતા હતા. તેમને ગ્વાંતાનામો બે જેલમાં પાંચ વર્ષ માટે મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને વર્ષ 2006માં અમેરિકામાંથી છોડીને સાઉદી અરબ મોકલી દેવામાં આવ્યા હતા.
રુબૈશની કવિતાને "પોયમ્સ ફ્રોમ ગ્વાંતાનામો : ધ ડિટેનીઝ સ્પીક" નામના કવિતા સંગ્રહમાં સામેલ કરવામાં આવી હતી. આ કવિતાસંગ્રહ વર્ષ 2007માં બેસ્ટસેલર બની રહ્યો હતો.
આ કવિતાને વર્ષ 2011માં અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી હતી. જો કે હવે અલ કાયદાનું નામ આવતા યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝના પૂર્વ ચેરમેન અને વાયનાડના પઝસ્સી રાજા કોલેજમાં પ્રોફેસર કે રાજગોપાલેને જણાવ્યું કે "જ્યારે કવિતા સામેલ કરવામાં આવી ત્યારે ઇબ્રાહિમ અલ રુબૈશની પૃષ્ઠભૂમિની જાણ ન હતી. જો ત્યારે અમને જાણ થાત તો અમે કવિતાને સામેલ ન કરત."
જ્યારે બોર્ડ ઓફ સ્ટડીઝના વર્તમાન ચેરમેન પી મહેમૂદનું કહેવું છે કે કવિતાને અભ્યાસક્રમમાં ચાલુ રાખવી કે નહીં તે અંગે આવતા મહિને મળનારી બોર્ડની મીટિંગમાં નિર્ણય લેવામાં આવશે. હવે યુનિવર્સિટીમાં જેમ જેમ આ વાતની ખબર પડી રહી છે તેમ તેમ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે કોઇ ખુલીને બહાર આવી રહ્યું નથી.