ત્રણેય કૃષિ કાયદા રદ, બિલ પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા!
લોકસભા અને રાજ્યસભા બંનેએ સોમવારે ત્રણ નવા કૃષિ કાયદાઓ રદ કર્યા હતા. લોકસભા અને રાજ્યસભા દ્વારા પસાર થયા પછી રાષ્ટ્રપતિએ પણ તેમની સંમતિ આપી દીધી છે અને કાયદેસર રીતે ત્રણેય કૃષિ કાયદાઓ હવે સમાપ્ત થઈ ગયા છે.
નવી દિલ્હી, 01 ડિસેમ્બર : લોકસભા અને રાજ્યસભા બંનેએ સોમવારે ત્રણ નવા કૃષિ કાયદાઓ રદ કર્યા હતા. લોકસભા અને રાજ્યસભા દ્વારા પસાર થયા પછી રાષ્ટ્રપતિએ પણ તેમની સંમતિ આપી દીધી છે અને કાયદેસર રીતે ત્રણેય કૃષિ કાયદાઓ હવે સમાપ્ત થઈ ગયા છે. બુધવારે સાંજે સરકાર દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
હવે નવા અધિનિયમને એગ્રીકલ્ચર લો રિપીલ એક્ટ-2021 કહેવામાં આવશે. સરકાર દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, આ ત્રણ કૃષિ કાયદાઓના નામ છે ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ એગ્રીકલ્ચર સર્વિસ એક્ટ 2020, એગ્રીકલ્ચર પ્રોડ્યુસ કોમર્સ એન્ડ ટ્રેડ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ-2020 અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) બિલ-2020 ને રદ કરવામાં આવ્યા છે.
ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવા અને MSP પર કાયદો ઘડવા માટે એક વર્ષથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં ખેડૂતો દિલ્હીની સિંઘુ, ટિકરી અને ગાઝીપુર બોર્ડર પર ધરણા કરી રહ્યાં છે. સોમવારે કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા માટે લોકસભામાં કૃષિ કાયદા રદબાતલ બિલ 2021 રજૂ કર્યું હતું.
બીજી તરફ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ બિલ પર ચર્ચાની માંગ કરવાનું શરૂ કર્યું છે, જો કે સ્પીકરે કહ્યું કે ગૃહમાં કોઈ વ્યવસ્થા નથી. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આજે ગૃહમાં નિયમોનો ભંગ થઈ રહ્યો છે. આ પછી ગૃહે કોઈ પણ જાતની ચર્ચા વગર ફાર્મ લો રિપીલ બિલ 2021ને મંજૂરી આપી દીધી હતી. સોમવારે જ રાજ્યસભાએ પણ ચર્ચા વિના કૃષિ કાયદા રિટર્ન બિલને મંજૂરી આપી દીધી હતી.