ઉત્તરપ્રદેશમાં મહિલાઓ અસુરક્ષિતઃ અમિત શાહ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લખનઉમાં જનમેદનીને સંબોધતા કહ્યું કે, સપા-બસપાના ખેલ બહુ થયા. હવે ભાજપને લાવો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિવર્તન રેલીમાં જનમેદનીને સંબોધતાં કહ્યું કે, જો કઇ પ્રદેશમાં સૌથી વધુ મહેનતુ ખેડૂતો હોય તો તે ઉત્તરપ્રદેશ છે. સાથે જ તેમણે ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટી પર પણ પ્રહારો કર્યાં.
ઉત્તરપ્રદેશમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને કારણે હાલ ખૂબ તાણાવભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એક બાજુ ઉત્તરપ્રદેશમાં સરકાર ચલાવી રહેલી સમાજવાદી પાર્ટીમાં ઘમસાણ ચાલુ છે, તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખનઉમાં પરિવર્તન રેલી સંબોધિત કરવા પહોંચ્યા છે. થોડી જ વારમાં નરેન્દ્ર મોદી લખનઉના રમાબાઇ આંબેડકર પાર્કમાં જનતાનું સંબોધન કરશે.
નરેન્દ્ર મોદી પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જનમેદનીને સંબોધતા સપા અને બસપા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશમાં ભાજપના શાસનકાળ દરમિયાન પરિવર્તન આવ્યું છે, હવે ઉત્તરપ્રદેશમાં પરિવર્તન લાવવાની જરૂર છે. ઉત્તરપ્રદેશમાં આજે પણ મહિલાઓ અસુરક્ષિત છે. સપા-બસપાનો ખેલ બહુ થયો, હવે ભાજપને લાવો. અમે થોડા જ મહિનાઓમાં ગુંડા રાજ ખતમ કરીશું.
નોટબંધી અંગે અમિત શાહે કહ્યું કે, વિપક્ષ કહે છે આવે નિર્ણય કેમ લીધો? પરંતુ ખરેખર તો આ નિર્ણય ગરીબોના હિતમાં લેવાયો છે. દેશમાં ભાજપના અઢી વર્ષના શાસનકાળ દરમિયાન એક પણ વાર ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી.
થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનમેદનીને સંબોધશે.