મોદી સરકારે ભ્રષ્ટાચાર અને પરિવારવાદને માત આપીઃ અમિત શાહ
નરેન્દ્ર મોદી સરકારના ત્રણ વર્ષ પૂરા થવા પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની સિદ્ધીઓ જણાવી હતી
"દેશમાં નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં ઘણાં એવા કામો કર્યા છે, જે વિરોધીઓ 60 વર્ષનાં શાસન કાળમાં પણ નથી થઇ શક્યાં. નરેન્દ્ર મોદીની સરકાર નિર્ણયો લેનારી સરકાર છે." કેન્દ્રની મોદી સરકારના શાસનકાળને પૂર્ણ થતાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદ સંબોધી હતી. અહીં રાષ્ટ્રપતિના નામ માટે રજનીકાંતની પસંદગી અંગે અમિત શાહે જણાવ્યું હતું કે, રજનીકાંત જો પક્ષમાં જોડાવા માંગે તો તેમનું સ્વાગત છે.
મોદી સરકારે સાહસિક નિર્ણયો કર્યા
અહીં અમિત શાહે કહ્યું કે, અમે એ કરી બતાવ્યું જેની કોઈ કલ્પના પણ નથી કરી શકતું. નોટબંધી જેવુ સાહસિક કાર્ય મોદી સરકારે કર્યું. નરેન્દ્ર મોદીની સરકારે દેશમાંથી વીઆઇપી કલ્ચર ખતમ કર્યું . કેન્દ્રમાં મોદી સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થવા અંગે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે, આ ત્રણ વર્ષમાં દેશના ગૌરવમાં વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની વિચારસરણીને બદલવામાં સફળ રહ્યા છે.
પરિવારવાદનો નાશ
ભાજપના અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું કે, ત્રણ વર્ષોમાં સરકારે પરિવારવાદ, જાતિવાદ અને ભ્રષ્ટાચારને રાજકારણમાંથી ઉખાડી ફેંક્યો છે. વિરોધીઓ ગમે તે કહે પણ લોકોનો વિશ્વાસ સરકાર પર વધ્યો છે. અમે સતત ચૂંટણીઓમાં જીત મેળવી રહ્યા છીએ. આ સરકાર સુધારો લાવવા માટેની સરકાર છે. ખેડૂતો માટે મોદી સરકારે ઘણા કામ કર્યા છે. સ્ટેન્ડ અપ, સ્ટાર્ટ અપ જેવી યોજનાઓથી લોકોને ખૂબ મદદ મળી છે.
ગ્લોબલ લીડર બન્યું ભારત
અમિત શાહે જણાવ્યું હતું કે, અંતરિક્ષ વિકાસ સહિત દરેક ક્ષેત્રના વિકાસમાં મોદી સરકારે સારું પ્રદર્શન કર્યું છે. અંતરિક્ષના ક્ષેત્રમાં ભારત એક ગ્લોબલ લીડર તરીકે ઉભરી આવ્યું છે. સરકારે કાળા નાણું દેશમાં પરત લાવવાની દિશામાં સારું કામ કર્યું છે. મોદી સરકાર મે 2018 સુધીમાં ભારતના દરેક ગામમાં વીજળી પહોંચાડશે. મોદી સરકારે મેટરનિટી લીવ 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયાની કરી.
ભારતનુ હિત પ્રથમ
પાકિસ્તાનના મુદ્દે વાતા કરતા અમિત શાહે કહ્યું હતું કે, અમે આપણા દેશની સુરક્ષાને પ્રાધાન્ય આપી પડોશી દેશો સાથે સારો સંબંધ રાખવા ઇચ્છીએ છીએ.