ગોવામાં ગરજ્યા અમિત શાહે - જો પાકિસ્તાન હદ પાર કરશે, તો થશે સર્જિકલ સ્ટ્રાઈક
અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે પૂંછમાં હુમલો થયો, ત્યારે પહેલી વખત સર્જિકલ સ્ટ્રાઈક કરીને ભારતે વિશ્વને જણાવ્યું હતું કે, ભારતની સરહદો સાથે છેડછાડ કરવી એટલી સરળ નથી.
પણજી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારના રોજ ગોવામાં જણાવ્યું હતું કે, રાજ્યને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ મનોહર પર્રિકરે માન્યતા આપી હતી. આ સાથે જ તેમણે સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરીને જણાવ્યું હતું કે, તે પાકિસ્તાનને સંદેશ છે કે તેમને કેવી રીતે જવાબ આપવામાં આવશે. જો પાકિસ્તાન આગળ કોઈ કાર્યવાહી કરશે તો સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે. ગુરુવારના રોજ ગોવા પહોંચેલા અમિત શાહે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના શિલાન્યાસ સમારોહમાં બોલતા આ વાતો કહી હતી.
અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે પૂંછમાં હુમલો થયો, ત્યારે પહેલી વખત સર્જિકલ સ્ટ્રાઈક કરીને ભારતે વિશ્વને જણાવ્યું હતું કે, ભારતની સરહદો સાથે છેડછાડ કરવી એટલી સરળ નથી. અમે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને ભવિષ્યમાં પણ જરૂર પડશે તો તે જ રહેશે. નરેન્દ્ર મોદી અને મનોહર પર્રિકરના નેતૃત્વમાં પ્રથમ વખત ભારતે પોતાની સરહદોની સુરક્ષા અને આદર સાબિત કર્યો હતો.
ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પરીકર અંગે શાહે જણાવ્યું હતું કે, આખો દેશ મનોહર પરીકરને બે બાબતો માટે હંમેશા યાદ રાખશે. તેમણે ગોવાને તેની ઓળખ આપી અને બીજું તેમણે ત્રણ સૈન્યને વન રેન્ક, વન પેન્શન આપ્યું છે. અમિત શાહે યુનિવર્સિટીની રચના બાદ ગોવામાં તેની પ્રથમ કોલેજ ખોલવા અને એનએફએસયુના પાંચ અભ્યાસક્રમોની શરૂઆત પર ખુશી વ્યક્ત કરી હતી.