કોરોનામાં લાપરવાહી કરનારા ડોક્ટરો વિરૂદ્ધ મોટી કાર્યવાહી, 5 ડોક્ટરો સામે FIR કરાઈ!
કોરોનાની લહેરો દરમિયાન ડોક્ટરોની લાપરવાહીની ઘણી ફરિયાદો ઉઠી હતી. હવે આ ફરિયાદને લઈને મોટી કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યુ છે.
નોઈડા : કોરોનાની લહેરો દરમિયાન ડોક્ટરોની લાપરવાહીની ઘણી ફરિયાદો ઉઠી હતી. હવે આ ફરિયાદને લઈને મોટી કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યુ છે. મળતી વિગતો અનુસાર, કોરોનાની બીજી લહેર દરમિયાન લાપરવાહી દાખવનારા 5 ડોક્ટરો સામે ફરિયાદ દાખલ કરાઈ છે.
અહેવાલ અનુસાર, મૃતકના પરિવારજનોનો આરોપ છે કે ડોક્ટરોએ રેમડેસિવિર ઈક્જેક્શન યોગ્ય રીતે નહોતુ લગાવ્યુ, જેના કારણે દર્દીનું મોત થયુ હતુ. પરિવારના જણાવ્યા અનુસાર, જો ડોક્ટર લાપરવાહી ન કરતા તો દર્દીનો જીવ બચી શકેત. માત્ર ડોક્ટરોની લાપરવાહીને કારણે દર્દીએ જીવ ગુમાવવો પડ્યો. હવે આ મામલે કાર્યવાહી કરાઈ છે.
ગૌતમ બુદ્ધ નગરના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર ડૉ. ટીકમ સિંહની ફરિયાદ પર આ કાર્યવાહી કરી છે. યથાર્થ હોસ્પિટલના ડૉક્ટરો વિરુદ્ધ કલમ 304A હેઠળ ફેઝ-2 પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ડૉ. ટીકમ સિંહે એક સત્તાવાર તપાસ સમિતિનું પણ નેતૃત્વ કર્યું, જેણે ગાઝિયાબાદ સ્થિત પરિવારની ફરિયાદની તપાસ કરી અને આરોપો સાચા હોવાનું જણાવતા હવે ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ યથાર્થ હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર કપિલ ત્યાગીએ દાવો કર્યો કે, આ આરોપ ખોટા છે. દર્દીને ગંભીર હાલતમાં અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જો અડધો કલાક પણ મોડું થયું હોત તો દર્દીનો જીવ બચ્યો ન હોત. પરંતુ અહીં તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને લગભગ 35 દિવસ પછી સંબંધીઓ તેમને દિલ્હીની બીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
અહીં તેમણે કહ્યું કે, મહામારીની બીજી લહેર દરમિયાન પડકારજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હોસ્પિટલના ડોકટરોની ટીમે તેમના સ્તરે સારું કામ કર્યું હતું. ફેઝ-2 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પરમહંસ તિવારીએ જણાવ્યું કે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.