અંજલી દમણિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજનામુ આપ્યું
નવી દિલ્હી, 5 જૂન : આમ આદમી પાર્ટીના મહિલા નેતા અંજલિ દમણિયાએ આજે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. જાણવા મળે છે તે મુજબ અંજલિ દમણિયા પાર્ટીની કામકાજની પદ્ધતિથી નાખુશ હતા.
તેમણે લખ્યું છે કે અરવિંદ કેજરીવાલ તેમના મોટા ભાઇ જેવા છે અને તેમનું સન્માન કરે છે. નોંધનીય છે કે અંજલી દમણિયાએ નાગપુરથી ભાજપના નીતિન ગડકરી સામે ચૂંટણી લડી હતી. ગડકરીએ તેમને અંદાજે 3 લાખ મતોથી હરાવ્યા હતા.
અંજલી દમણિયા એક સામાજિક કાર્યકર્તામાંથી રાજકારણી બન્યા છે. તેમણે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે મારા આ આશ્ચર્યજનક નિર્ણય માટે કોઇ જવાબદાર નથી. પ્યારા સાથિઓ હું ભલે દિલથી 'આપ' સાથેનો સંબંધ તોડી રહી છું. હું અરવિંદ કેજરીવાલનું ખુબ સન્માન કરું છું. તેઓ મારા મોટા ભાઇ જેવા છે. મારી આપ સૌને વિનંતી છે તે મારા રાજીનામાને પગલે કોઇ પ્રકારના રાજકીય ષડયંત્રની ધારણાઓ બનાવવામાં ના આવે.
મેં જીવનમાં ક્યારે પણ મારા મૂલ્યો સાથે સમાધાન કર્યું નથી અને કરીશ પણ નહીં. હું મીડિયાને પણ પ્રાર્થના કરું છું કે મારા અંગત જીવનનું ધ્યાન રાખે. આ સાથે તેમણે પાર્ટીને શુભેચ્છાઓ આપી હતી.
નોંધનીય છે કે અંજલી દમણિયા ત્યારે સમાચારોમાં છવાયા હતા જ્યારે તેમણે ભાજપના નીતિન ગડકરી સામે સિંચાઇ યોજનાઓમાં કૌભાંડને દબાવવાની વાત કહી હતી. તેમણે આરોપ લગાવ્યો કે શરદ પવારની નીકટતાને કારણે તેમણે આમ કર્યું હતું.