અણ્ણા હઝારે કરશે નરેન્દ્ર મોદીનું સમર્થન પણ શરત છે કે...
નવી દિલ્હી, 30 ઓગસ્ટ : ભારતમાં જન લોકપાલ બિલ અમલી બનાવવા માટે સરકાર સામે લડત ચલાવી રહેલા સમાજ સેવક અણ્ણા હઝારેએ પોતાના રાજકારણથી અળગા રાખ્યા છે. તેઓ કોઇ પણ રાજકીય પક્ષને પોતાનું સમર્થન આપવા માંગતા નથી. બીજી તરફ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વથી પ્રભાવિત અણ્ણા હઝારે તેમનું સમર્થન કરવા માંગે છે. જો કે આ માટે તેઓ ઇચ્છે છે કે મોદીને આ સમર્થન ભાજપ વગર મળે.
જી હા અણ્ણા હઝારેએ આગામી લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીને સમર્થન આપવાની ઇચ્છા દર્શાવી છે. જો કે તેઓ નરેન્દ્ર મોદીને સશર્ત સમર્થન આપવા માંગે છે. આ અંગે અણ્ણા હઝારેએ જણાવ્યું છે કે તેમને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું સમર્થન કરવામાં આનંદ આવશે. જો કે શરત એટલી જ છે કે હું નરેન્દ્ર મોદીનું સમર્થન ત્યારે જ કરીશ જ્યારે તેઓ ભાજપ છોડી દેશે.
ઇન્ડિયા દિવસના અવસરે અમેરિકા ગયેલા અણ્ણા હઝારેએ અમેરિકાના એક સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમને ભારતના એક પણ રાજકીય પક્ષ પર વિશ્વાસ નથી. હું નરેન્દ્ર મોદીને પસંદ કરું છું અને તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત પણ છું. વર્તમાન સમયમાં નરેન્દ્ર મોદી રાજકીય પક્ષ ભાજપના સભ્ય છે. આ કારણે હમણાં હું તેમનું સમર્થન કરી શકું એમ નથી.
સમાચાર પત્રના અહેવાલ અનુસાર ડેલાવેયર કાર્યક્રમના સંચાલક ખાને જણાવ્યું છે કે હઝારે જેવા સામાજિક કાર્યકર્તાનો આ જવાબ રાજકીય જવાબ હતો. ખાને જણાવ્યું કે અણ્ણા એવો પ્રયત્ન કરી રહ્યા હતા કે નરેન્દ્ર મોદીના સમર્થકોને નારાજ કર્યા વિના તેઓ નરેન્દ્ર મોદીના પ્રશ્નમાંથી બહાર નીકળી જાય. જો કે તેઓ આમ કરી શક્યા નથી.