લખીમપુર ખીરી કેસમાં સાક્ષીઓને સામે આવવા અપીલ, SIT એ નંબર જારી કર્યો!
3 ઓક્ટોબરે લખીમપુર ખીરી જિલ્લાના ટિકુનિયામાં થયેલી હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ઉત્તર પ્રદેશ સરકારની કાર્યશૈલી પર નારાજગી વ્યક્ત કરી છે.
લખીમપુર ખીરી, 27 ઓક્ટોબર : 3 ઓક્ટોબરે લખીમપુર ખીરી જિલ્લાના ટિકુનિયામાં થયેલી હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ઉત્તર પ્રદેશ સરકારની કાર્યશૈલી પર નારાજગી વ્યક્ત કરી છે. જે બાદ રાજ્યની યોગી સરકાર અને મામલાની તપાસ કરી રહેલી SIT એક્શનમાં આવી ગઈ છે. નંબર જાહેર કરતી વખતે, SITએ અપીલ કરી છે કે ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ આગળ આવે અને તેમના નિવેદનો રેકોર્ડ કરાવે.
એટલું જ નહીં, SITનું કહેવું છે કે આ લોકોની માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને તેમને સુરક્ષા આપવામાં આવશે. એક પ્રેસ નોટ જાહેર કરતા SIT ના અધ્યક્ષે કહ્યું કે, લખીમપુર ખીરી પોલીસ સ્ટેશનના ટિકુનિયા વિસ્તારમાં બનેલી ઘટનાના સંબંધમાં સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી છે. SITના વડા ઉપેન્દ્ર કુમાર અગ્રવાલ છે, જેનો મોબાઈલ નંબર 9454400454 છે.
જાહેર જનતાને વિનંતી છે કે જો કોઈ પ્રત્યક્ષદર્શી આ ઘટના અંગે નિવેદન નોંધવા માંગતા હોય તો તે પોલીસ લાઈન્સ લખીમપુર ખીરી સ્થિત ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થઈ નિવેદન નોંધાવે. જો સાક્ષી પોતાનું નામ/સરનામું ગુપ્ત રાખવા ઈચ્છે તો તેનું નામ/સરનામું ગુપ્ત રાખવામાં આવશે. સાક્ષીઓને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, 4000-5000 લોકોની ભીડ હતી અને તેમાં મોટાભાગે સ્થાનિક લોકો હતા. ઘટના બાદ પણ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેથી આ લોકોને ઓળખવામાં કોઈ મુશ્કેલી ન થવી જોઈએ. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, 68 સાક્ષીઓમાંથી 30 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે અને 23 વ્યક્તિઓ ઘટનાના નજરે જોનાર સાક્ષી છે. લોકોએ કાર અને કારમાં રહેલા લોકોને જોયા છે. તેના પર સુપ્રીમ કોર્ટે યુપી સરકારને પૂછ્યું કે રેલીમાં સેંકડો ખેડૂતો હતા, તો પછી માત્ર 23 જ સાક્ષીઓ કેમ છે?
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ઘટનાના સાક્ષીઓને સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે સાક્ષીઓના નિવેદનો ઝડપથી નોંધવાનો નિર્દેશ પણ આપ્યો છે. કોર્ટે યુપી સરકારને લખીમપુર હિંસામાં પત્રકાર રમણ કશ્યપ અને શ્યામ સુંદરની હત્યાની તપાસ પર જવાબ દાખલ કરવા પણ કહ્યું છે.