તાલિબાને ભારત પર નજર બગાડી તો નિપટવા સેના તૈયાર-બિપિન રાવત
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા અંગે તાલિબાનને કડક ચેતવણી આપી છે.
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા અંગે તાલિબાનને કડક ચેતવણી આપી છે. બિપિન રાવતે કહ્યું છે કે જો તાલિબાન ભારત તરફ જુએ છે તો તેની સાથે એ જ વ્યવહાર કરવામાં આવશે, જે આપણે આતંકવાદીઓ સામે કરીએ છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત ગુપ્ત માહિતીના રૂપમાં વધારાના સમર્થનને આવકારશે, કારણ કે તે આતંકવાદ સામે વૈશ્વિક યુદ્ધ લડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
બિપિન રાવતે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના પ્રોગ્રામ 'ધ ઈન્ડિયા-યુએસ પાર્ટનરશિપ: સિક્યોરિંગ ધ 21 સેન્ચ્યુરી'માં કહ્યું કે, જ્યાં સુધી અફઘાનિસ્તાનની વાત છે, અમે સુનિશ્ચિત કરીશું કે તાલિબાનીઓ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો તેની સાથે પણ તે જ રીતે વ્યવહાર કરવામાં આવશે, જે રીતે આપણે આપણા દેશમાં આતંકવાદનીઓ સાથે કરી રહ્યા છીએ. બિપિન રાવતે કહ્યું કે ભારતીય સેના તાલિબાનની ઘૂસણખોરીને રોકવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
બિપિન રાવતે વધુમાં કહ્યું કે, અફઘાનિસ્તાનમાં જે થયું તેનો આપણને પહેલેથી જ અંદાજ હતો, તેથી અમે અમારા લોકોને ત્યાંથી બહાર કાઢવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું કે આ એ જ તાલિબાન છે જે 20 વર્ષ પહેલા હતું, જે પહેલા થયું તે ફરી થઈ શકે છે.
બિપિન રાવતે કહ્યું કે ભારતને અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાનો ડર પહેલેથી જ હતો. જો કે, આ કબજો ખૂબ ઝડપથી થયો છે. તેમણે કહ્યું કે અમારો અંદાજ હતો કે તાલિબાન થોડા મહિનામાં અફઘાનિસ્તાનનો કબજો કરશે. બિપિન રાવતે કહ્યું કે જો અફઘાનિસ્તાનથી કોઈ આતંકવાદી પ્રવૃત્તિ ભારત તરફ આવે છે તો આપણી સેના તેનો સામનો કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે.