નવી દિલ્હી, 31 માર્ચ : ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ આજે ગુજરાતના 2002ના રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા અને તેઓ માફી માંગશે કે નહીં તે અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી આ મુદ્દે કોઇ માફી માંગશે નહીં. તેમની વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા આ વિરોધ અભિયાનને વધારે હવા આપીને ચગાવવાની કોઇ જરૂર નથી.
આજે સોમવારે જેટલીએ વિદેશી પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે જે લોકો તેમની પાસે માફી મંગાવવા ઇચ્છે છે તેઓ મોદીની માફીને કબૂલાતનામુ બનાવી દેવા માંગે છે. જો તેમણે ખરેખર કોઇ ભૂલ કરી છે તો તેમને માફી માંગવાની જરૂર શું છે. તેમના પર કેસ ચલાવવામાં આવે અને તેમને દંડિત કરવામાં આવવા જોઇએ. કોઇ પણ વ્યક્તિ કેવા પ્રકારે અભિવ્યક્તિ કરે છે તે અંગે આપણે ચર્ચા કરી શકીએ. પરંતુ ખોટા અભિયાનને ચલાવી લેવાની જરૂર નથી.
જેટલીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીને હિંસા કે રમખાણોના થાય તેની સતત ચિંતા છે. મુસ્લિમો સહિત ગુજરાતીઓએ મોદીના શાસનમાં વિકાસ સાધ્યો છે. નરેન્દ્ મોદી માફી માંગે તેવી માંગણી રાજ્યમાંથી આવી રહી નથી. પરંતુ કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો તરફથી ચલાવવામાં આવી રહેલા અભિયાનમાંથી આવી રહી છે.
જ્યારે જેટલીને પૂછવામાં આવ્યું કે ભાજપને મુસ્લિમોના કેટલા મતો મળવાની આશા છે ત્યારે તેમણે જણાવ્યું કે ભાજપ મુસ્લિમ મતો નહીં તેમને સાથે લેવા માંગે છે. સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપના મુસ્લિમ નેતાઓએ વિજય મેળવ્યો હતો તે મુસ્લિમો ભાજપની સાથે છે તેનો મોટો પુરાવો છે.