વારાણસી, 8 મે : આમ આદમી પાર્ટી (આપ)ના અધ્યક્ષ અને વારાણસીથી ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહેલા અરવિંદ કેજરીવાલે મોદીને જાહેરમાં ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો છે.
કેજરીવાલે વારાણસી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નરેન્દ્ર મોદીને ગંગા આરતી અને એક રેલી યોજવા માટે મંજુરી નહીં આપવા મુદ્દે પડકાર ફેંકીને સમગ્ર પ્રકરણને હવા આપવાનું કામ કર્યું છે.
નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કેજરીવાલે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી રાજકીય ફાયદા માટે ગંગા આરતીને લઇને રાજકારણ રમી રહ્યા છે. આ મુદ્દે હું તેમને જાહેરમાં રાજકીય ચર્ચા કરવા માટે આમંત્રણ આપું છું.
આ અંગે ટ્વિટ કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે મોદીને બનારસની જનતાની સામે ચર્ચાનો પડકાર ફેંકું છું. જેથી બનારસની જનતા અમને સીધા પ્રશ્નો પૂછી શકે. આ માટે સમય અને જગ્યાની પસંદગી મોદી જાતે કરી લે.
કેજરીવાલે ટ્વિટમાં જણાવ્યું કે જો આપને માત્ર સાદી આરતી અને પૂજા જ કરવી હોય તો તેના માટે ચૂંટણી પંચ પાસેથી મંજુરી માંગવી પડતી નથી. ચૂંટણી પંચની મંજુરી રાજકીય ગતિવિધિઓ હાથ ધરવા માટે લેવી પડે છે. મેં પણ એક દિવસ વારાણસીમાં આરતી ઉતારી હતી. કોઇએ મને રોક્યો ન હતો. હું મારી પત્ની સાથે ફરી આરતી માટે ગંગાઘાટ જઇશ.
ઉલ્લેખનીય છે કે આજે સાંજે નરેન્દ્ર મોદીએ ગંગા ઘાટ પર થતી આરતીમાં ભાગ લેવાનો હતો. ચૂંટણી પંચે મંજુરી નહીં આપતા આજે તેઓ ગંગા આરતીમાં સામેલ થઇ શકશે નહીં, તે માટે મોદીએ ગંગા માતાની માફી માંગી છે. આ સાથે આરતીમાં ભાગ નહીં લેવા અંગેની જાહેરાત પણ કરી છે. કેજરીવાલે ચૂંટણી પંચ તરફથી ગંગા આરતી માટે મોદીને આપવામાં આવેલી પરવાનગીવાળી ચિઠ્ઠી પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.