EVM મશીન અંગે અરવિંદ કેજરીવાલે કર્યા ગંભીર સવાલો
અરવિંદ કેજરીવાલે એમસીડી ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં જ ચૂંટણી પંચને ચિઠ્ઠી લખી બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરવાની માંગણી કરી હતી.
હાલમાં જ પૂર્ણ થયેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માં ઇવીએમ મશીન સાથે કરવામાં આવેલ કથિત છેડછાડ અંગેનો વિવાદ વધી રહ્યો છે. બસપા સુપ્રીમો માયાવતી વાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇવીએમ માં ગોટાળો થવાની આશંકા વ્યક્ત કરી છે. કેજરીવાલે બુધવારે મીડિયા સામે કહ્યું કે, ઘણા વિશેષજ્ઞોએ કહ્યું હતું કે, પંજાબમાં અકાલી દળ પ્રત્યે લોકોમાં ગુસ્સો અને નારાજગી છે અને આમ આદમી પાર્ટી જીતી રહી છે. આમ છતાં ચૂંટણીમાં આપ પાર્ટીને 25 ટકા મત મળ્યા અને અકાલી દળને 31 ટકા, આ કઇ રીતે શક્ય છે?
અરવિંદ કેજરીવાલે આશંકા વ્યક્ત કરી છે કે, ઇવીએમ દ્વારા શક્ય છે કે આમ આદમી પાર્ટીના 20થી 25 ટકા મતો શિરોમણી અકાલી દળ-ભાજપના સંગઠનના ખાતામાં ગયા હોય. તેમણે કહ્યું કે, ઇવીએમ અંગે જનતાના મનમાં અવિશ્વાસ છે. જનતના આ અવિશ્વાસને વિશ્વાસમાં ફેરવવો એ ચૂંટણી પંચની ફરજ છે. કેજરીવાલે કહ્યું કે, ગોવામાં અમે અમારી હાર સ્વીકારીએ છીએ, પરંતુ પંજાબ અંગે અમારા મનમાં અનેક શંકાઓ છે.
અમારા કાર્યકર્તાઓના મત ક્યાં ગયા?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે, વીવીપીએટી(મત નાંખ્યા બાદ ઇવીએમ માંથી મળતી રિસિપ્ટ) અને ચૂંટણી પંચના પરિણામોને સરખાવવા જોઇએ. જો આ બંન્નેના આંકડાઓ સમાન હોય તો લોકોનો વિશ્વાસ ચૂંટણી પંચ પર વધશે. કેજરીવાલે કહ્યું કે, ઘણા મતદાન બૂથ પરથી અમારા કાર્યકર્તાઓની ફરિયાદ આવી હતી કે તેમણે મત આપ પાર્ટીને આપ્યો હતો, પરંતુ મત ગણતરી દરમિયાન તે બૂથ પરથી ઓછા મત મળ્યા. બૂથ પર આપ પાર્ટીને મળેલા મતની સંખ્યા અમારા કાર્યકર્તાઓના મતથી પણ ઓછી હતી, તો પછી અમારા કાર્યકર્તાઓના મત ક્યાં ગયા?
અહીં વાંચો - ગોવાઃ ચોથીવાર CM બનનાર મનોહર પર્રિકરની રાજકારણીય સફર
કોંગ્રેસ અને આપની માંગણી, બેલેટ પેપર દ્વારા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, મંગળવારે એમસીડી ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં જ અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચને પત્ર લકી બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરવાની માંગણી કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા પર ચૂંટણી પંચને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં ઇવીએમ મશીનના સ્થાને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, ચૂંટણી પંચે આ બંન્ને પક્ષોની માંગણીને નકારતાં કહ્યું છે કે, ચૂંટણી ઇવીએમ મશીન દ્વારા જ થશે.