સિબ્બલ સામે ઉભા રહેશે તો કેજરીવાલને સમર્થન: અણ્ણા

અણ્ણાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું છે કે અમારા વિચાર અલગ છે અને રસ્તાઓ અલગ છે, પરંતુ અમારો ઉદ્દેશ એક છે. દેશને બચાવવાનો ઉદ્દેશ. અમારી બન્ને વચ્ચે કોઇ ઝઘડો નથી. અરવિંદ કેજરીવાલ પાર્ટી બનાવવા ઇચ્છે છે તો બનાવે, અમે તેને રોકીશું નહીં, પરંતુ જ્યારે તે તેમના ઉમેદવાર ચૂંટણીમાં ઉતારશે ત્યારે અમે જોઇશું કે તેમના ઉમેદવાર સારા છે, ઇમાનદાર છે, તો હું જરૂરથી તેને સમર્થન કરીશ.
અરવિંદની અંદર મને અત્યારસુધી કોઇ ખોટ જોવા મળી નથી, તેથી હું તેના વિશે કોઇ નકારાત્મક વાત કરવા ઇચ્છતો નથી. મને પુરો વિશ્વાસ છે, જ્યારે દોઢ વર્ષ સુધી હું દેશમાં ફરીશ તો આ સંગઠન વધી જશે અને અમે ઇમાનદાર લોકો મળશે. એનો અર્થ એ નથી કે અરવિંદ મારો ફોટો લગાવે. અમારા સંબંધો તૂટ્યા નથી, પરંતુ હું રાજકારણ સાથે જોડાવા માગતો નથી.
અણ્ણાને જ્યારે પૂછવામાં આવ્યું કે કેજરીવાલ તમારા અર્જુન હતા, તો શું હવે તે નવા અર્જુનને શોધશે. તો તેના જવાબમાં અણ્ણાએ કહ્યું કે સેનાપતિ અંગે અમે ક્યારેય વાત કરી નથી. વોલેન્ટિયર્સની વાત કરીએ તો અમારા બન્નેના વોલેન્ટિયર્સ જાતે આવ્યા છે અને બન્ને માટે કામ કરી રહ્યાં છે.
આ પહેલા અણ્ણાએ કહ્યું કે તેમના આંદોલનમાં હવે પૂર્વ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ જોડાશે. તેના પામે 70 પૂર્વ અધિકારીઓ તૈયાર થયા છે. સાથે જ પૂર્વ સેનાની પણ આંદોલનમાં સામેલ થશે.
અણ્ણાએ કહ્યું કે અમે કોઇપણ નિર્ણય ઉતાવળમાં નહીં કરીએ. આજે સ્થિતિ એવી છે કે અમારી પાસે દિલ્હીમાં બેસવા માટેની પણ જગ્યા નથી. સમાજની સામે બધા પ્રશ્નો છે, પરંતુ જગ્યા નથી. સ્થળ નક્કી થતાં જ એક મોટી બેઠક બોલાવવામાં આવશે, જ્યાં લોકો પોતાની વાતો રજુ કરશે. હવે સિસ્ટમ ફરીથી બનાવવી પડશે. પહેલા સ્ટેટ કોઓર્ડિનેશન કમિટી બનાવીશું. અમારા જુના લોકો છે, જે મળીને રાષ્ટ્રીય સ્તર પર કોઓર્ડિનેશન કમિટી બનાવશે.
અમે ફેસબુક, ટ્વિટર થકી 80 લાખ લોકો સુધી પહોંચ્યા છીએ, પરંતુ આ કામ ફરી એક વખત બનાવવું પડશે. અમારે એક નવા સંદેશા સાથે આગળ વધવું પડશે. જે સંદેશો હશે દેશને બચાવવાનો. અમે જે લોકોને પસંદ કર્યા છે, તેમને ટ્રેનિંગ આપવામાં આવશે અને ત્યારપછી ફરીથી ચર્ચા થશે કે આંદોલન કેવી રીતે આગળ વધારવામાં આવે.












Click it and Unblock the Notifications
