ઓવૈસીએ પીએમ મોદી પર કર્યો કટાક્ષ, કહ્યુ - એક ડ્રોન અરુણાચલ પણ મોકલો, તમારા દોસ્તે બનાવી લીધી છે કૉલોની
AIMIM અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રોન દ્વારા કામકાજનુ નિરીક્ષણ કરવાના દાવા પર કટાક્ષ કર્યો છે.
નવી દિલ્લીઃ AIMIM અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રોન દ્વારા કામકાજનુ નિરીક્ષણ કરવાના દાવા પર કટાક્ષ કર્યો છે. ઓવૈસીએ કહ્યુ છે કે પીએમ મોદી એક ડ્રોન અરુણાચલ અને લદ્દાખમાં કેમ નથી મોકલતા, જ્યાં તેમનો દોસ્ત સતત ભારતની જમીન પર કબ્જો કરી રહ્યો છે.
શુક્રવારે દિલ્હીમાં ઈન્ડિયા ડ્રોન ફેસ્ટિવલને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યુ હતુ કે ડ્રોન દ્વારા કેટલું કામ થયુ છે તે તેઓ શોધી કાઢે છે. તેમણે ડ્રોનથી જ કેદારનાથ પ્રોજેક્ટમાં ચાલી રહેલા કામનો પણ હિસાબ લીધો હતો. પીએમ મોદીના ભાષણનો આ ભાગ ટ્વિટર પર શેર કરીને અસુદ્દીન ઓવૈસીએ લખ્યુ છે- 'મોદીજી અરુણાચલમાં ડ્રોન મોકલો, જ્યાં તમારા ખાસ મિત્ર Xi ભાઈએ ભારતની ધરતી પર પોતાની વસાહત બનાવી છે અને લદ્દાખમાં પણ ડ્રોન મોકલો અને જુઓ કે ચીન આપણા પેંગોંગ ત્સો તળાવ પર કેવી રીતે પુલ બનાવી રહ્યુ છે. તમારુ ડ્રોન હોટ સ્પ્રિંગ, ડેમચોક પણ મોકલો.
પીએમ મોદીના આ ભાષણ પર અન્ય વિપક્ષી પાર્ટીઓએ પણ નિશાન સાધ્યુ છે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ આના પર કહ્યુ - હે દ્રોણચાર્ય, જો તમે કોવિડના સમયે ગંગા મૈયા પર અમુક ડ્રોન મોકલ્યા હોત તો તમને તે બધુ ખબર પડી ગઈ હોત જેનાથી આખી દુનિયા વાકેફ હતી. યુથ કોંગ્રેસ અધ્યક્ષે ટ્વિટર પર એમ પણ લખ્યુ છે કે આ ક્રમમાં ચીનની સરહદ પર પણ ડ્રોન મોકલો મોદીજી.
શું બોલ્યા હતા નરેન્દ્ર મોદી
ડ્રોન ફેસ્ટિવલમાં વડાપ્રધાને કહ્યુ હતુ - જ્યારે કેદારનાથના પુનઃનિર્માણનુ કામ શરૂ થયુ ત્યારે મારા માટે દરેક વખતે ત્યાં જવુ શક્ય નહોતુ. હું ડ્રોન દ્વારા જ કેદારનાથના કામની દેખરેખ રાખતો હતો. આજે મારે સરકારી કામોની ગુણવત્તા જોવી હોય તો મારે ત્યાં નિરીક્ષણ માટે જવુ પડે એ જરૂરી નથી. હું ડ્રોન મોકલુ છુ તે માહિતી લાવે છે અને તેમને ખબર પણ નથી હોતી કે મે માહિતી લીધી છે.