આસારામના સહયોગી અમૃત પ્રજાપતિનું ગોળીબારમાં ઇજા બાદ મૃત્યુ
અમદાવાદ, 10 જૂન : આસારામ સામે બળવો કરીને તેમની પોલ ખોલી પુરાવો આપનાર વૈદ્ય અમૃત પ્રજાપતિનું આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ પહેલા રાજકોટમાં તેમની ઉપર ગોળીબાર કરી તેમની હત્યા કરવાનો પ્રયાસ કરાયો હતો. ત્યાર બાદ તેમને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વૈદ્ય અમૃત પ્રજાપતિની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ પૂર્વે થોડા દિવસ પહેલા રાજકોટમાં ફાયરિંગમાં તેઓને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમની સારવાર ચાલી રહી હતી.

ફાયરિંગમાં મોઢામાં દાઢીના ભાગે ગોળી લાગતાં ગંભીર રીતે ઘવાયેલા અમૃત પ્રજાપતિને શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે બાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ 10 જૂન, મંગળવાર એટલે કે આજે સવારે 7 વાગ્યે તેમનું નિધન થયું છે. તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયો છે. અને તેમના દેહનું દાન સિવિલ હોસ્પિટલમાં જ કરાયું હોવાની વાત છે.
અમદાવાદ રહેતા આસારામના એક વખતના અંગત વૈદ્ય અને બાદમાં તેની સામે જંગ છેડનાર અમૃતલાલ ગુલાબચંદ પ્રજાપતિ 55 વર્ષની વય ધરાવતા હતા. તેઓ રાજકોટમાં આવેલા ઓમશાંતિ આરોગ્યધામ ખાતે દર્દીઓનું નિદાન કરી જમવા જવા માટે કેબિનની બહાર નીકળી રહ્યા હતા ત્યારે દર્દીના વેશમાં આવેલા શખ્સે તેમના પર રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરનાર શખ્સ બહાર ઊભેલા બાઇકચાલક પાછળ બેસી નાસી છૂટયો હતો.












Click it and Unblock the Notifications
