નંદીનો બળવો, કહ્યું 'રાજકારણીઓની માફી નહી માંગુ'

આશિષ નંદીએ એક ખાનગી ન્યૂઝ ચેનલને ઇન્ટર્યુ આપતા પોતાનું વલણ સ્પષ્ટ રાખતા જણાવ્યું હતું કે તેઓ પોતાના નિવેદન સાથે વળગી રહેશે અને તેઓ આના માટે કોઇપણ રાજકારણીઓની માફી માગશે નહી. તેઓ આના માટે સંપૂર્ણ રીતે લડત આપવા માટે તૈયાર છે.
વાત કંઇક એવી છે કે શનિવારે સાહિત્ય સમ્મેલમાં ચર્ચા ભ્રષ્ટાચાર પર આવીને ઉભી રહી. દરમિયાનમાં અન્ય સાહિત્યકારો અને પત્રકારો સાથે મંચ પર હાજર આશિષ નંદીએ જણાવ્યું હતું કે 'દેશમાં સૌથી વધારે ભ્રષ્ટાચારીઓ ઓબીસી અને અનુસુચિત જાતિના લોકોમાંથી આવે છે. સૌથી વધારે ભ્રષ્ટાચાર દલિતો કરી રહ્યા છે.' આશિષ નંદીએ સમ્મેલનમાં સીધેસીધું કહી દીધું કે સૌથી વધારે ભ્રષ્ટાચારીઓ દલિત જાતિમાંથી આવે છે.
જાણિતા સમાજશાસ્ત્રી આશિષ નંદીએ આવું ચોંકાવનારું અને વિવાદાસ્પદ નિવેદન કરતા સાહિત્યકારોમાં અને પત્રકારોમાં સોંપો પડી ગયો હતો અને દલિત સમુદાય દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમની સામે જયપુરના અશોકનગર પોલીસ સ્ટેશન ખાતે બિન જમાનતી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. જેના પગલે તેમને જયપુર પણ છોડવું પડ્યું હતું.
જોકે તેમના મતનો સખત વિરોધ થતા તેમણે પોતાના નિવેદનને ફેરવી તોળ્યું હતું અને જણાવ્યું હતું કે મારા મતને મારી મચેડીને રજૂ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે 'મે કહ્યું હતું કે દલિતો દ્વારા થતો ભ્રષ્ટાચાર સામે આવી જાય છે અને સવર્ણો દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર સામે નથી આવતો તેને દબાવી દેવામાં આવે છે. છતાં પણ મારા નિવેદનથી કોઇની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું.' પરંતુ આજે ફરિથી તેમણે રાજકારણીઓની માફી માગવાનો ઇનકાર કરી દીધો છે.












Click it and Unblock the Notifications
