આસામમાં પૂરનો પ્રકોપ યથાવત, છેલ્લા 24 કલાકમાં વધુ 8ના મોત, આંકડો પહોંચ્યો 66
Assam Floods: આસામમાં છેલ્લા 24 કલાકમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકો સહિત 8 લોકોના મોત થયા બાદ સ્થિતિ વણસી ગઈ છે. જે બાદ આ વર્ષના પૂરમાં મૃત્યુઆંક વધીને 66 થઈ ગયો છે.
"રવિવારે ધુબરી અને નલબારી જિલ્લામાં બે-બે લોકો અને કચર, ગોલપારા, ધેમાજી, શિવસાગર જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયા છે તેમ એએસડીએમએ પૂર અહેવાલમાં જણાવાયું છે.

રવિવારે રાજ્યમાં પૂરની સ્થિતિ કેટલાક જિલ્લાઓમાં હજુ પણ ગંભીર છે. 28 જિલ્લાના 22.74 લાખથી વધુ લોકો હજુ પણ પૂરથી પ્રભાવિત છે. પૂર પ્રભાવિત જિલ્લાઓમાં કામરૂપ, નાગાંવ, કચર, ધુબરી, ગોલપારા, મોરીગાંવ, હૈલાકાંડી, બોંગાઈગાંવ, દક્ષિણ સલમારા, ડિબ્રુગઢ, કરીમગંજ, લખીમપુર, હોજાઈ, નલબારી, ચરાઈડિયો, વિશ્વનાથ, ગોલાઘાટ, જોરહાટ, ધેમાજી, બરપેટા, મજ્જાપુર, કોરપેટા, સોલમારા, કામરૂપ (M), દરરંગ, શિવસાગર, ચિરાંગ, તિનસુકિયાનો સમાવેશ થાય છે.
97 રેવન્યુ સર્કલ હેઠળના 3446 ગામો હજુ પણ ડૂબી ગયા છે અને 68432.75 હેક્ટર પાક વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયો છે. એકલા ધુબરી જિલ્લામાં 754791 લોકો પ્રભાવિત થયા છે, ત્યારબાદ કચર જિલ્લામાં 177928 લોકો, બારપેટામાં 134328 લોકો, દારંગમાં 117581 લોકો, ગોલાઘાટમાં 112322 લોકો, દક્ષિણ સલમારા જિલ્લામાં 100926 લોકો પ્રભાવિત થયા છે.
3.69 લાખથી વધુ લોકોએ 630 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે અને વહીવટીતંત્ર દ્વારા 26 જિલ્લામાં વિતરણ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. પૂરના બીજા મોજામાં 1563426 પાલતુ પ્રાણીઓ પણ પ્રભાવિત થયા છે. રવિવારના પૂરના પાણીમાં 214 પશુઓ ધોવાઈ ગયા હતા અને લગભગ 300 ઘરોને નુકસાન થયું હતું. એનડીઆરએફ, એસડીઆરએફ, અગ્નિશમન અને કટોકટી સેવાઓ અને સ્થાનિક વહીવટીતંત્રની બચાવ ટુકડીઓ અનેક પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં વ્યસ્ત છે.
છેલ્લા 24 કલાકમાં પૂરના પાણીથી 172 રસ્તાઓ, 6 પુલ, 8 પાળાને નુકસાન થયું છે. બ્રહ્મપુત્રા, બરાક અને તેની ઉપનદીઓ સહિત નવ નદીઓ રાજ્યમાં ઘણી જગ્યાએ ભયના નિશાનથી ઉપર વહી રહી છે. નીમતીઘાટ, તેજપુર અને ધુબરીમાં બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે.












Click it and Unblock the Notifications
