આસામ-મિઝોરમ હિંસાઃ આસામ પોલીસના 6 જવાનોના મોત
આસામ-મિઝોરમ હિંસાઃ આસામ પોલીસના 6 જવાનોના મોત
આસામ અને મિઝોરમ વચ્ચે સીમા વિવાદ વકરતો જઈ રહ્યો છે. તાજા જાણકારી મુજબ આ હિસામાં આસામના 6 પોલીસકર્મીઓના મોત થયાં છે. સોમવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. તેમણે બંને રાજ્યોને વિવાદ ઉકેલવા કહ્યું છે. જે બાદ મુખ્યમંત્રીઓએ ગૃહમંત્રીને વિવાદ ઉકેલવા અને મામલાને જલદી ઠંડો પાડવાનો ભરોસો આપ્યો છે.
આસામના કછાર જિલ્લામાં સીમા પર સોમવારે થયેલ હિંસામાં આસામ પોલીસના જવાન સહિત કેટલાય લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ આ હિંસામાં ઘાયલ થયેલા 6 પોલીસકર્મીઓના ઈલાજ દરમિયાન મૃત્યુ થયાં છે. બીજી તરફ સોમવારે મિઝોરમના સીએમ જોરમથંગાએ પોલીસ અને નાગરિકો વચ્ચેની બબાલનો એક વીડિયો ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન કાર્યાલયને ટેગ કરતાં ટ્વીટ કર્યો છે. તેમણે આ મામલે તરત કાર્યવાહી કરવાની માંગ કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના તમામ પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓને મળ્યાના ઠીક બે દિવસ બાદ આસામ-મિઝોરમ સીમા પર ફરી હિંસા જોવા મળી. જે બાદ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ મામલાને ઉકેલવા ગૃહમંત્રીને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ મિઝોરમના મુખ્યમંત્રીને ટ્વીટ કરતા લખ્યું કે માનનીય જોરમથંગા જી, કોલાસિબ (મિઝોરમ)ના એસપીએ અમને કહ્યું કે જ્યાં સુધી અમે અમારી પોસ્ટથી પાછળ ન હટી જઈએ ત્યાં સુધી તેમના નાગરિકો સાંભળશે નહી અને હિંસા નહી અટકે. આવા હાલાતોમાં સરકાર કેવી રીતે ચલાવી શકીએ?
આ ટ્વીટના જવાબમાં જોરમથંગાએ ટ્વીટ કરતા લખ્યું કે હિમંત જી, અમિત શાહજીએ બંને મુખ્યમંત્રીઓ સાથે એક નિર્ણાયક બેઠક કરી હતી. જે બાદ આશ્ચર્યજનક રૂપે આજે મિઝોરમમાં વેરિંગટે ઓટો રિક્શા સ્ટેન્ડ પાસે આસામ પોલીસની બે કંપનીઓ નાગરિકો સાથે આવી અને મિઝોરમ પોલીસના જવાનોને પણ ભગાડી દીધા. સોમવારે મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાએ હિંસાનો એક વીડિયો ટ્વીટ કરતા ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરતા અનુરોધ કર્યો હતો કે આ મામલે તરત કાર્યવાહી કરવામાં આવે.
આ મામલે મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાએ કહ્યું, મિઝોરમની સરકાર મિઝોરમના ક્ષેત્રમાં આ ઘુસણખોરી અને આક્રમણમાં આસામ સરકારના અનુચિત કૃત્યની આકરી નિંદા કરે છે. મિઝોરમ સરકારના બંને પક્ષોની બિનજરૂરી ઈજા માટે અતિ દુખ છે, આ હિંસા ટાળી શકાય તેમ હતું. કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તક્ષેપથી આસામ પોલીસ જગ્યાએથી હટી ગઈ છે અને ડ્યૂટી પોસ્ટ સીઆરપીએફ કર્મિઓને પરત સોંપી દેવામાં આવી છે. મિઝોરમ સરકાર ઈચ્છે છે કે આસામ સાથે આંતરરાજ્ય સીમા વિવાદને શાંતિ અને સમજના માહોલમાં ઉકેલવામાં આવે. અમે આસામ રાજ્યના શાંતિપૂર્ણ સમાધાન માટે અનુકૂળ વાતાવરણ બનાવવાનું આહ્વાન કરીએ છીએ.