રાધનપુરમાં હિંદુ યુવતી પર હુમલો: રેલીમાં હજારો એકઠા થયા, પાટણ પહોંચેલા અલ્પેશ ઠાકોરે શું કહ્યું?
ગુરુવારે સાંજે એક 20 વર્ષીય યુવક દ્વારા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શેરગઢ ગામમાં ચૌધરી સમાજની યુવતી પર કથિત જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો.બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર દ્વારા અપાયેલી માહિતી
ગુરુવારે સાંજે એક 20 વર્ષીય યુવક દ્વારા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શેરગઢ ગામમાં ચૌધરી સમાજની યુવતી પર કથિત જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો.
બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર દ્વારા અપાયેલી માહિતી અનુસાર કથિત રીતે આ હુમલો કરનાર યુવત મુસ્લિમ સમુદાયનો છે.
નોંધનીય છે કે આરોપી યુવકની શુક્રવારે જ ધરપકડ કરી લેવાઈ હતી.
જે બાદ આ કૃત્યના વિરુદ્ધમાં સ્થાનિક હિંદુ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા રાધનપુરમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક ચૌધરી સમાજના આગેવાનો સહિત રાધનપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ પીડિતાની મુલાકાતે પહોંચ્યા હતા.
આ બાબતે હિંદુ સંગઠનોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.
સંગઠનો દ્વારા શુક્રવારે રાધનપુરના આદર્શ વિદ્યાલય ખાતે એકઠા થઈ બનાવને ગંભીરતાથી વખોડી કાઢ્યો હતો.
સ્થાનિકો મુજબ રાધનપુર બંધ રાખી મૌન રેલી કાઢી ન્યાયની માગણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ હિંદુ સમાજના અનેક આગેવાનો અને સમર્થકોએ મળીને વિશાળ રેલી યોજી હતી.
- ધંધૂકા મર્ડર કેસ : તપાસ એટીએસને સોંપાઈ, પરિવારજનો અને નેતાઓ કિશનની હત્યાને 'ષડ્યંત્ર' કેમ ગણાવે છે?
- કૅનેડા-અમેરિકાની સરહદે મૃત્યુ પામેલા ગુજરાતી પરિવારની ઓળખ થઈ, ગુજરાતથી ત્યાં કેવી રીતે પહોચ્યા હતા?
'સોશિયલ મીડિયા પર ખોટી માહિતીથી દોરાતા બચવું'
https://www.youtube.com/watch?v=n8oyPHXCVSI
આ સમગ્ર ઘટના અંગે પત્રકારો સાથેની વાતચીતમાં પાટણના એસ. પી. અક્ષયરાજ મકવાણાએ માહિતી આપતાં કહ્યું હતું કે, "સોશિયલ મીડિયામાં આ ઘટનાને જે પ્રકારનો વળાંક આપવામાં આવી રહ્યો છે ખરેખર વાત એવી નથી."
"હુમલાખોર યુવક અને પીડિત યુવતી એકબીજાને ઘણા સમયથી ઓળખતાં હતાં. અને પૈસાની લેતીદેતીના મામલે આ હુમલો થયો હતો. જેથી કોઈ પણ ખોટી માહિતીથી દોરાતા બચવું જોઈએ."
મળેલ માહિતી અનુસાર પીડિત યુવતી હાલ ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીડિતાની ખબર પૂછવા આવેલા ભૂતપૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, "જો બહેન-દીકરીઓની વાત હોય તો તેઓ પોતે તલવાર ઉપાડવાથી પણ પાછા નહીં હઠે."
અહીં નોંધનીય છે કે આ સમગ્ર ઘટના બાદ પાટણ અને આસપાસના વિસ્તારોમાં તંગદીલીભર્યો માહોલ છે.
મુસ્લિમ યુવકો દ્વારા કરાયેલ હુમલામાં મૃત્યુ પામેલ ધંધૂકાના યુવકના કેસમાં પણ ધંધૂકા અને સુરેન્દ્રનગરના ઘણા વિસ્તારોમાં બંધ પાળવામાં આવ્યા હતા. જેના કારણે આ વિસ્તારોમાં કોમી તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું.
હુમલા પાછળના કારણને લઈને વિવાદ
ચૌધરી સમાજના આગેવાન અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી શંકર ચૌધરી સાથે બીબીસી ગુજરાતીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. અને આ સમગ્ર ઘટના અંગે તેમનો મત જાણવા પ્રયાસ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, "આ ઘટનાના દોષિતને કડકમાં કડક સજા મળવી જોઈએ. અને પીડિત દીકરીને અચૂક ન્યાય મળવો જોઈએ."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સોશિયલ મીડિયા પર 'વિધર્મી' યુવકે હિંદુ યુવતી પર હુમલો કર્યો હોવાની વાતો ચાલી રહી છે જ્યારે પોલીસનું કહેવું કંઈક અલગ છે.
તો તેમણે આના જવાબમાં કહ્યું હતું કે, "સોશિયલ મીડિયાની મને ખબર નથી. પરંતુ આરોપીનું કૃત્ય ઘૃણાસ્પદ છે. તેને કાયદાની ભાષામાં યોગ્ય જવાબ મળે. અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. યુવતી સાથે જે થયું તે નીંદનીય છે."
"સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે તેની મને ખબર નથી. માત્ર ન્યાય અપાવવા અમે મેદાને આવ્યા છીએ. આગળ હવે કોઈ કાર્યક્રમ નથી."
ચૌધરી સમાજના અન્ય એક આગેવાન શિવભાઈ ચૌધરીએ પૈસાની લેતીદેતીનો મામલો હોવાની વાત ફગાવતાં કહ્યું હતું કે, "આ આરોપીએ ઘડી કાઢેલી વાત છે. તે યુવતીને નુકસાન પહોંચાડવાના ઇરાદે હુમલો કરવા માટે જ આવ્યો હતો."
"તેના પર હુમલો કર્યો પણ હતો. હુમલા સિવાય તેના ઇરાદા શું હતા એ તપાસમાં સામે આવશે."
તેઓ શનિવારે આ ઘટનાના વિરોધ સંદર્ભે આયોજિત કરાયેલી રેલી અંગે કહે છે કે, "આ ઘટનાના વિરોધ માટે દાખલો બેસાડી શકાય તેવી કાર્યવાહી થાય તે માટે અમે રેલીનું આયોજન કર્યુ હતું."
"પરંતુ તેમાં કેટલાંક અસામાજિક તત્ત્વો ભળી જતાં અમે રેલીનું આયોજન અધવચ્ચે મુલતવી રાખવાનું સલામતીભર્યું લાગ્યું."
તેઓ આ સમગ્ર મામલામાં અપરાધીને કડકમાં કડક સજા વહેલી તકે કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
આમ, રાધનપુર સહિત આસપાસના વિસ્તારમાં હજુ સુધી સામાજિક એકતા અને શાંતિનો માહોલ ખરાબ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
પીડિતાના ભાઈ સાથે સંપર્ક સાધી બીબાસી ગુજરાતીએ સમગ્ર ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે પોતાને કોઈ જ જાણ ન હોઈ હાલ તેઓ કંઈ કહી શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=NcefDmHEKqQ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો