બાબા રામદેવની યોગ શિબિર અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
લખનૌ, 27 એપ્રિલ : પોતાના વિવાદોને કારણે વિવાદોમાં આવેલા બાબા રામદેવની યોગ શિબિરો અને ચૂંટણી સભાઓ પર ઉત્તર પ્રદેશના લખનૌ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ લખનૌમાં યોજાનારી તેમની યોગ શિબિરો અને ચૂંટણી સભાઓ પુરતો મર્યાદિત રહેશે.
બાબા રામદેવે પોતાની એક ચૂંટણી સભામાં જણાવ્યું હતું કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દલિતોના ઘરમાં 'હનીમૂન અને પિકનિક' મનાવવા જાય છે. આ ટિપ્પણી બાદ ઉત્તર પ્રદેશમાં તેમની સામે બે કેસ નોંધવામાં આવ્યા હતા. એક કેસ લખનૌમાં અને બીજો કેસ સોનભદ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર સોનભદ્ર જિલ્લા પંચાયતના ચેરમેન અનિતા રાકેશે દલિત મહિલાઓના અપમાન માટે રામદેવ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે.
આ નિવેદન પર વધતા વિવાદને પગલે શનિવારે બાબા રામદેવે સ્પષ્ટતા કરી હતી કે 'રાહુલજી અંગે મેં જે કહ્યું હતું તેને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. સામાજિક અને રાજનીતિના સંદર્ભમાં હંમેશા કહેવામાં આવે છે કે હનીમૂન પીરિયડ ઇઝ ઓવર. આ કારણે દલિતો અને રાહુલ ગાંધીનું અપમાન કરવાનો અમારો હેતુ ન હતો.'
કોંગ્રેસે આ નિવેદન અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. જ્યારે ભાજપના નેતાઓમાં કેટલાકે તેમનો બચાવ કર્યો છે તો કેટલાકે આ નિવેદનને ખોટું ગણાવ્યું છે.