બીયાસ કરુણાંતિકા : ગુમ વિદ્યાર્થીઓની શોધ માટે ઇસરો, નાસાની મદદ લેવાશે
શિમલા, 16 જૂન : બીયાસ નદીની કરુણાંતિકામાં ગુમ થયેલા વિદ્યાર્થીઓની ભાળ મેળવવા માટે આંધ્રપ્રદેશ સરકાર ઇસરો અને નાસાની મદદ લેશે. આ દુર્ઘટનામાં હૈદરાબાદની એન્જિનીયરિંગ કોલેજના 24 વિદ્યાર્થીઓ પાણીના તેજ પ્રવાહમાં વહી ગયા હતા. તેમાંથી હજી સુધી માત્ર 7 વિદ્યાર્થીઓના મૃતદેહ મળી શક્યા છે. બાકીના 17 વિદ્યાર્થીઓની ભાળ મેળવવાની બાકી છે.
આ દુર્ઘટનામાં ચાલી રહેલી બચાવ કામગીરીની સમીક્ષા કરવા માટે શનિવારે સાંજે આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી એન ચિન્ના રાજપ્પા દહેરાદૂન પહોંચ્યા હતા. તેમણે આ બાબતમાં જણાવ્યું કે 'અમે ઇસરો અને નાસા જેવી એજન્સીઓનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તમામ ગુમ વિદ્યાર્થીઓની ભાળ મેળવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.'
હિમાચલ પ્રદેશ રવાના થતા પહેલા આંધ્રપ્રદેશના રાજમુંદરીમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ગુમ વિદ્યાર્થીઓની શોધ માટે સીમા સુરક્ષા દળની ટુકડી અને પાણીમાં તસવીરો લઇ શકે તેવા આધુનિક કેમેરાને ઉપયોગમાં લેવામાં આવશે.
જો કે આ માટે ઇસરો અને નાસાનો સંપર્ક સાધી શકાયો છે કે નહીં, અને સંપર્ક સાધવામાં આવ્યો તે બંને એજન્સી તરફથી કેવી પ્રતિક્રિયા મળી છે તે અંગે કોઇ જાણકારી મળી શકી નથી.