આ લોકતંત્રની હત્યા, ભગવંત માને ચંદીગઢ મેયર ચૂંટણીને લઈને બીજેપી પર ગંભીર આરોપ લગાવ્યા
ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને રાજનીતિ ગરમાઈ છે. પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને આ દિવસને લોકશાહીમાં કાળા દિવસ તરીકે ઓળખાવ્યો છે.
તેમણે કહ્યું કે, આજનો દિવસ આપણા દેશની લોકશાહીમાં કાળા દિવસ તરીકે લખવામાં આવશે અને યાદ કરવામાં આવશે. આ એ જ મહિનો છે જ્યારે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ અને આજે બંધારણના ટુકડા કરવામાં આવ્યા.

ભગવંત માને વધુમાં કહ્યું કે, ચંદીગઢ મેયરની ચૂંટણીમાં બીજેપીએ મીડિયાની સામે લૂંટ ચલાવી. આ પહેલા તેઓ મધ્યપ્રદેશ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, પૂર્વોત્તર રાજ્યોમાં પણ આવું કરી ચૂક્યા છે... આ ભાજપની જૂની આદત છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે X પર એક પોસ્ટ કરીને કહ્યું કે, ચંદીગઢ મેયરની ચૂંટણીમાં જે રીતે અપ્રમાણિકતા કરવામાં આવી તે અત્યંત ચિંતાજનક છે. જો આ લોકો મેયરની ચૂંટણીમાં આટલા નીચા સ્તરે જઈ શકે છે તો દેશની ચૂંટણીમાં ગમે તે હદે જઈ શકે છે. આ ખૂબ જ ચિંતાજનક છે.
જણાવી દઈએ કે, ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકરની તરફેણમાં 16 વોટ પડ્યા અને તેઓ જીત્યા. જ્યારે કોંગ્રેસ અને AAPના મેયર ઉમેદવાર કુલદીપ સિંહને કુલ 12 વોટ મળ્યા. આ ઉપરાંત 8 મત અમાન્ય જાહેર કરાયા. ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થતાં જ ગૃહમાં હોબાળો થયો. આ દરમિયાન ભાજપ અને સંયુક્ત વિપક્ષના સભ્યો વચ્ચે મારામારી પણ થઈ.












Click it and Unblock the Notifications
