ભગવંત માન સરકારે ભંગ કર્યું વિઝિલન્સ આયોગ
આયોગ પોતાની પ્રાથમિકતા પૂર્ણ કરવામાં સંપૂર્ણ પણે નિષ્ફળ નિવડ્યું છે અને તે ખજાના પર બોજારૂપ પણ બની ગયું છે.
ચંદીગઢ : પંજાબની કેપ્ટન અમરિંદર સિંહની સરકારના કાર્યકાળ દરમિયાન પંજાબ રાજ્ય વિઝિલન્સની રચના કરવામાં આવી હતી. વિધાનસભાના વિશેષ સત્રના ત્રીજા દિવસે આ અંગેનો પ્રસ્તાવ રજૂ કરતા સમયે વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું છે કે, આયોગ પોતાની પ્રાથમિકતા પૂર્ણ કરવામાં સંપૂર્ણ પણે નિષ્ફળ નિવડ્યું છે અને તે ખજાના પર બોજારૂપ પણ બની ગયું છે.
વિલિઝન્સ કમિશનની સત્તાઓને રદ્દ કરતું બિલ શુક્રવારના રોજ વિધાનસભામાં સર્વસંમતિથી પસાર થયું હતું. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબ રાજ્ય વિઝિલન્સ આયોગનું મુખ્ય કાર્ય ભ્રષ્ટાચારને રોકવા અને ગુનાઓમાં શામેલ જાહેર સેવકોની તપાસ કરવાનું છે. વિઝિલન્સ બ્યુરો અને પોલીસની કામગીરીનું મોનિટરિંગ પણ કમિશનની પ્રાથમિકતાઓમાં હતું. આ તમામ કાર્યોમાં આયોગ નિષ્ફળ નિવડ્યું છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, વિલિઝન્સ વિભાગ સિવાય અન્ય ઘણી એજન્સીઓ અન્ય રાજ્યોમાં આવા હિતધારકોના જૂથ સાથે વ્યવહાર કરવા માટે સક્રિય છે. 13 નવેમ્બર, 2020 ના રોજ પંજાબ સ્ટેટ વિજિલન્સ કમિશન એક્ટ અમલમાં આવ્યો હતો. આ કાયદા હેઠળ રચાયેલા પંજાબ રાજ્ય વિલિઝન્સ કમિશને જરૂરી ઉદ્દેશ્યો હાંસલ કર્યા નથી. જે કારણે રાજ્યના રહેવાસીઓના વ્યાપક હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
હવે પંજાબમાં AAPની સરકાર બન્યા બાદ સરકાર પાસે પહેલેથી જ આયોગની કામગીરીને લઈને ઘણી માહિતી હતી. આ ઈનપુટના આધારે સરકારે કમિશનના વાર્ષિક ખર્ચની વિગતો મંગાવી અને કામનો રિપોર્ટ જોયો હતો. જે જોયા બાદ નક્કી થયું કે, આ કમિશન સરકાર માટે સફેદ હાથી સાબિત થઈ રહ્યું છે. ખર્ચ ઘટાડવામાં લાગેલી સરકારે આજે કમિશન પર પણ કાતર ચલાવી છે.