સુધીર સૂરી હત્યા મુદ્દે ભગવંત માનનું મોટુ નિવેદન, કહ્યું- પરિવારને પુરો ન્યાય મળશે!
પંજાબમાં સુધીર સૂરી હત્યાકાંડને લઈને સતત કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે હવે મુખ્યમંત્રી ભગવંત માને પરિવારને ન્યાયની બાહેધરી આપી છે.
જાલંધર : પંજાબમાં સુધીર સૂરી હત્યાકાંડને લઈને સતત કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે હવે મુખ્યમંત્રી ભગવંત માને પરિવારને ન્યાયની બાહેધરી આપી છે. સુધીર સૂરી હત્યાકાંડમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે ત્યારે ભગવંત માને કહ્યું કે, પોલીસ ઘટનાની તમામ બાજુઓથી તપાસ કરી રહી છે. આ મામલે સતત તપાસ ચાલી રહી છે.
શિવસેના નેતા સુધીર સૂરની અમૃતસરમાં હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ સ્થાનિક સરકાર અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે સતત નિવેદનબાજી ચાલી રહી છે ત્યારે હવે ભગવંત માને સરકાર તરફથી પરિવારને ન્યાય અપાવવાનો વાયદો કર્યો છે.
અમૃતસરમાં ગોળી મારીને હત્યા કરાયા બાદ આજે પંજાબ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ સંદર્ભે રોપરમાં બજાર બંધ કરાવવા આવેલા શિવસૈનિકોને પોલીસે ઘેરી લીધા હતા અને કેટલાક શિવસૈનિકોની અટકાયત કરી હતી. જે શિવસૈનિકોને ઘેરવામાં આવ્યા હતા તેમાં રોપર જિલ્લા પ્રમુખ શિવસેનાના સેક્રેટરી અને તેમના સહયોગીઓનો સમાવેશ થાય છે.
બજાર બંધ કરાવવા આવેલા શિવસૈનિકોએ કહ્યું હતું કે તેઓ શાંતિપૂર્વક બજાર બંધ કરાવવા આવ્યા છે અને જે વ્યક્તિ બજારમાં પોતાની દુકાન બંધ નહીં કરે તેની દુકાન સામે વિરોધ કરવામાં આવશે. પત્રકારો સાથે વાત કર્યા પછી શિવસૈનિક બજાર બંધ કરવા માટે જ નીકળ્યા ત્યારે પોલીસે તેમને ઘેરી લઈ અટકાયત કરી હતી.