ભજ્જી રાજ્યસભામાં જશે, ક્રિકેટર હરભજન સિંહને આ પાર્ટીએ કર્યા નોમિનેટ
હરભજન સિંહે ટ્વીટ કરીને ભગવંત માનની ચૂંટણી પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી અને મારા મિત્ર ભગવંત માનને અમારા નવા મુખ્યમંત્રી બનવા પર અભિનંદન..
ક્રિકેટર હરભજન સિંહને આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભગવંત માનના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ AAPના વિશ્વસનીય સૂત્રો તરફથી કહેવામાં આવ્યું હતું કે, પાર્ટીએ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહનું નામ રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આવા સમયે, સૂત્રોના જણાવ્યા અનુસાર, હરભજન સિંહને પંજાબની સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વડા બનાવવા માટે પણ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
હરભજન સિંહે ટ્વીટ કરીને ભગવંત માનની ચૂંટણી પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી અને મારા મિત્ર ભગવંત માનને અમારા નવા મુખ્યમંત્રી બનવા પર અભિનંદન.. ભગત સિંહના ખટકરકલાન ગામમાં તેઓ નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તે સાંભળીને ખૂબ આનંદ થયો.
ગયા વર્ષે સામે આવ્યો હતો સિદ્ધુ સાથેનો ફોટો
પ્રખ્યાત ક્રિકેટર હરભજન સિંહના રાજકારણમાં જોડાવાની ચર્ચા ત્યારે તેજ થઈ ગઈ, જ્યારે ગયા વર્ષે ડિસેમ્બરમાં પંજાબ કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ નવજોત સિદ્ધુ તરફથી એક તસવીર ટ્વીટ કરવામાં આવી હતી. ભજ્જી સાથેની તસવીર શેર કરતાં સિદ્ધુએ તેને શક્યતાઓથી ભરેલી તસવીર ગણાવી હતી.
આ પહેલા ક્રિકેટર હરભજન સિંહના ભાજપમાં જોડાવાની અફવા હતી. જે બાદ હરભજન સિંહે પોતે આગળ આવવું પડ્યું હતું. ભાજપમાં જોડાવાની ચર્ચાઓને ફગાવતા તેમણે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાઓને ખોટી ગણાવી હતી. આ પહેલા 2017ની વિધાનસભા ચૂંટણીમાં હરભજન કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાઓ પણ તેજ થઈ હતી, પરંતુ આવું કંઈ થયું ન હતું.
ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હરભજન સિંહે કહ્યું હતું કે, તે પંજાબની સેવા કરવા માગે છે. ક્યાં તો રાજકારણ દ્વારા અથવા અન્ય રીતે. જો કે હજૂ સુધી આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેણે એ પણ કહ્યું કે તેની પાસે ઘણી પાર્ટીઓમાં જોડાવાની ઓફર છે, પરંતુ વિચારી રહ્યો છે સમજી વિચારીને જ તે કોઈપણ પક્ષમાં જોડાશે.