Bharat Jodo Yatra: '15 મિનિટ બોલવા માટે 8 કલાક સાંભળે છે લોકોની વાત', PM મોદીના મન કી બાત પર રાહુલ ગાંધી
રાહુલ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી પીએમ મોદીના કાર્યક્રમ મન કી બાતને લઈને સતત ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. જાણો તેમણે શું કહ્યુ.
Bharat Jodo Yatra: રાહુલ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી પીએમ મોદીના કાર્યક્રમ મન કી બાતને લઈને સતત ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન એક જાહેર સભાને સંબોધતા તેમણે તેમની પાર્ટીના અભિયાનની તુલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ સાથે કરી. જેમાં પીએમ દેશભરના વિવિધ ક્ષેત્રોના લોકોની સમસ્યાઓ અને તેના નિવારણ માટે કેન્દ્ર સરકારના પ્રયાસો અંગે જનતા સાથે જોડાય છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું છે કે માત્ર 15 મિનિટ બોલવા માટે તેમણે 8 કલાક લોકોના મનની વાત સાંભળવાની હોય છે.
ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે તેઓ લગભગ આઠ કલાક ચાલે છે. આ માટે દરરોજ સરેરાશ 25 કિમીનુ અંતર કાપવાનુ હોય છે. પ્રવાસ દરમિયાન તે વાતચીત દ્વારા લોકો સાથે જોડાય છે અને તેમના વિચારો સાંભળે છે. બુધવારે કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન મધ્યપ્રદેશના બુરહાનપુરમાં એક જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યુ, 'અમે યાત્રાની વચ્ચે લોકો સાથે વાતચીત કરીએ છીએ. અમે લગભગ આઠ કલાક સુધી 'મન કી બાત' સાંભળીએ છીએ. ત્યારબાદ લગભગ 15 મિનિટ બોલીએ છીએ.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ કે પીએમ મોદી આવુ નથી કરતા. જ્યારે કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન અમે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂરો અને નાના ઉદ્યોગપતિઓના મનની વાત સાંભળવાનુ કામ કરીએ છીએ. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની હતી પરંતુ કોંગ્રેસના 15થી 20 ભ્રષ્ટ ધારાસભ્યોએ પાર્ટીને સમર્થન આપ્યુ ન હતુ. આ માટે રાહુલ ગાંધીએ ભાજપ પર કોંગ્રેસના ધારાસભ્યોને પૈસાની લાલચ આપીને પોતાના પક્ષમાં લેવાનો આરોપ લગાવ્યો હતો.