ભીમા કોરેગાંવ હિંસાઃ વરવરા રાવની પુત્રીને પૂછાયા જાતિસૂચક સવાલો
ડાબેરી વિચારક અને પત્રકાર વરવરા રાવની પુત્રી પવનાએ જણાવ્યુ કે એક પોલિસ અધિકારીએ તેમના ઘરની તપાસ કરતી વખતે તેના પર જાતિસૂચક ટિપ્પણી કરી.
ભીમા કોરેગાંવ હિંસા મામલે પાંચ રાજ્યોમાં રેડ પાડ્યા બાદ પાંચ ડાબેરી વિચારકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આમાં ડાબેરી વિચારક વરવરા રાવ, પત્રકાર ગૌતમ નવલખા, કાર્યકર અને વકીલ સુધા ભારદ્વાજ, કાર્યકર વેરનન ગોંઝાલવિસ અને કાર્ટૂનિસ્ટ અરુણ ફરેરા શામેલ છે. પોલિસે પાંચ રાજ્યોમાં રેડ પાડયા બાદ ભીમા કોરેગાંવ હિંસા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્રના આરોપમાં આ પાંચ વિચારકોની ધરપકડ કરી હતી. વળી, ડાબેરી વિચારક અને પત્રકાર વરવરા રાવની પુત્રીએ પોલિસ પર જાતિસૂચક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે.
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર ડાબેરી વિચારક અને પત્રકાર વરવરા રાવની પુત્રી પવનાએ જણાવ્યુ કે એક પોલિસ અધિકારીએ તેમના ઘરની તપાસ કરતી વખતે તેના પર જાતિસૂચક ટિપ્પણી કરી. મંગળવારે પૂણે પોલિસે ભીમા કોરેગાંવ હિંસામાં તેના પિતાની ધરપકડના અનુસંધાનમાં પવનાના ઘરની તપાસ કરવામાં આવી છે. પવના હૈદરાબાદમાં ઈંગ્લિશ એન્ડ ફોરેન લેંગ્વેજીઝ યુનિવર્સિટીના કેમ્પસમાં પોતાન પતિ પ્રોફેસર સત્યનારાયણ સાથે રહે છે જે યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચરલ સ્ટડીઝના પ્રમુખ છે.
જાતિસૂચક સવાલ કરાયા
પવનાએ જણાવ્યુ કે પોલિસના એક અધિકારીએ આ દરમિયાન તેને જાતિસૂચક સવાલ કર્યા. એક પોલિસ અધિકારીએ તેને પૂછ્યુ, તારો પતિ દલિત છે, એટલા માટે તે કોઈ પરંપરાનું પાલન નથી કરતો, પરંતુ તુ તો એક બ્રાહ્મણ છે. તે કોઈ ઘરેણા કેમ નથી પહેર્યા કે કોઈ સિંદૂર કેમ નથી લગાવ્યુ. તે એક પારંપરિક પત્નીની જેમ કપડાં કેમ નથી પહેર્યા? શું દીકરીને પણ પિતાની જેમ રહેવુ જરૂરી છે?
સત્યનારાયણ અને પવનાના ઘરે પૂણે પોલિસકર્મીઓ અને તેલંગાના સ્પેશિયલ ઈન્ટેલિજન્સ બ્યૂરોની એક ટીમે તપાસ કરી હતી. સત્યનારાયણે કહ્યુ કે આ એક ‘દર્દનાક અને અપમાનજનક અનુભવ' હતો કારણકે પોલિસકર્મીઓએ તેમની અને તેમની પત્નીને વાહિયાત સવાલો પૂછ્યા. પહેલા તેમણે કહ્યુ કે ‘તેઓ મારા સસરા વરવરા રાવની તપાસ કરી રહ્યા છે. જ્યારે તેમને તે ન મળ્યા તો તેમણે બુકશેલ્વ્ઝ, અલમારી શોધવાની શરૂ કરી દીધી. તેમણે કહ્યુ કે તેઓ મને માઓવાદી સાથે જોડવા માટે કંઈ શોધી રહ્યા હતા. તેમણે પૂછ્યુ કે શું વરવરા રાવે મારા ઘરમાં કંઈ છૂપાવ્યુ હતુ.'
આ પણ વાંચોઃસરકાર કાર્યકર્તાઓની ધરપકડ કરીને દેશમાં આતંક અને ડર ફેલાવી રહી છેઃ બસપા
પોલિસે પૂછ્યુ, ‘આટલા પુસ્તકો કેમ વાંચો છો'
સત્યનારાયણે જણાવ્યુ કે પૂણે અને તેલંગાનાના વીસ પોલિસકર્મીઓએ સવારે 8.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી તેમના ઘર પર કબ્જો કરી લીધો અને બધુ બરબાદ કરી દીધુ. પોલિસ કર્મીઓએ સત્યનારાયણને પૂછ્યુ કે તેમના ઘરમાં આટલા બધા પુસ્તકો કેમ છે? શું તે બધા પુસ્તકો વાંચે છે? આટલા બધા પુસ્તકો કેમ ખરીદે છે? તેઓ આટલા બધા પુસ્તકો કેમ વાંચે છે? તેઓ માઓ અને માર્ક્સ પરના પુસ્તકો કેમ વાંચી રહ્યા છે? ચીનમાં પુસ્તકો કેમ પ્રકાશિત કરવામાં આવ્યા છે? તેમની પાસે ગદ્દારના ગીતો કેમ છે? તેમના ઘરમાં ફૂલે અને આંબેડકરના ફોટા છે પરંતુ ભગવાનના કોઈ ફોટા કેમ નથી?
એક પોલિસકર્મીએ સત્યનારાયણના પુસ્તક તરફ ઈશારો કરતા કહ્યુ કે બહુ બધા પુસ્તકો વાંચીને તે બાળકોને બગાડી રહ્યા છે. ‘એક મોટી યુનિવર્સિટીમાં એક શૈક્ષણિક અને પ્રોફેસર રૂપે મને ખૂબ અપમાનિત લાગ્યુ. શિક્ષણવિદ રૂપે અમે વિવિધ પ્રકારના પુસ્તકો વાંચીએ છીએ, ભલે તે લેફ્ટ, રાઈટ, દલિતોની વિચારધારા સંબંધિત હોય તેનાથી કોઈ ફરક નથી પડતો. તેમણે મને દલિતો સંબંધિત દરેક પુસ્તકો જેમાં લાલ કવર હતા તે વિશે પૂછપરછ કરી.'
તેમણે જણાવ્યુ કે પોલિસે તેમના કમ્પ્યુટર, લેપટોપ અને એક્સટરનલ હાર્ડ ડિસ્મમાં હાજર 20 વર્ષોનું સાહિત્યિક કામ લઈ ગયા. જેમાં તેમના બે પુસ્તકના ડ્રાફ્ટ, સાહિત્ય પત્રો, ઓનલાઈન ખરીદેલા પુસ્તકોની સોફ્ટ કોપી, દલિત સાહિત્ય પર સંશોધન સામગ્રી શામેલ છે. પોલિસે તેમને કહ્યુ કે આ બધુ પાછુ લેવા માટે તેમણે અરજી કરવી પડશે.
આ પણ વાંચોઃડાબેરીઓની ધરપકડ પર અરુંધતિ રોયઃ ‘દેશમાં કટોકટીની ઘોષણા થવાની છે'
જમાઈ હોવાના કારણે તપાસ કરાઈ
સત્યનારાયણે જ્યારે પોલિસકર્મીઓને પૂછ્યુ કે તેઓ તેમના ઘરની તપાસ કેમ કરી રહ્યા છે તો તેમણે જણાવ્યુ કે તેઓ વરવરા રાવના જમાઈ છે એટલા માટે આવુ થઈ રહ્યુ છે. એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એક પ્રતિષ્ઠિત પ્રોફેસરના રૂપમાં મારી પોતાની ઓળખને અલગ કરી દીધી. તેમણે મને એક ગુનેગાર તરીકે અનુભવ કરાવ્યો. તેમણે મને મારુ ઈમેલ આઈડીના પાસવર્ડ આપવા માટે મજબૂર કર્યો. તેમણે મને કહ્યુ કે મે મારા સસરાને માઓવાદી વિચારધારાનુ સમર્થન ન કરવાની સલાહ કેમ ન આપી.'
એક તરફ વરવરા રાવની પુત્રી અને જમાઈએ પોલિસ પર આ આરોપ લગાવ્યા ત્યાં બીજી તરફ પૂણે પોલિસન જોઈન્ટ કમિશ્નરે આ બધા આરોપોને ફગાવી દીધા. પૂણે પોલિસના જોઈન્ટ કમિશ્નર શિવાજી બોઢખેએ કહ્યુ કે, ‘સંપૂર્ણપણે ખોટા આરોપો છે. આવા કોઈ સવાલ પૂછવામાં આવ્યા નથી. પ્રક્રિયા અનુસાર જ રેડ પાડવામાં આવી હતી.'
તમને જણાવી દઈએ કે ધરપકડ કરાયેલ પાંચ ડાબેરી વિચારકોને સુપ્રિમ કોર્ટે પાંચ સપ્ટેમ્બર સુધી નજરબંધ રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ આદેશને પૂણે પોલિસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. કોર્ટે આ મામલે સુનાવણી કરતા કહ્યુ કે ધરપકડ કરાયેલ પાંચ લોકોને રિમાન્ડ પર લેવામાં આવશે નહિ.
આ પણ વાંચોઃસુપ્રીમ કોર્ટે વામપંથી વિચારકોના રિમાન્ડ નામંજૂર કર્યા, આપ્યો હાઉસ અરેસ્ટનો આદેશ